ગુજરાત માટે મોટો ખતરો કે શું! વાવાઝોડા ASNA અંગે થયો ચોંકાવનારો ખુલાસો, વૈજ્ઞાનિકો ચિંતામાં…આવું કઈ રીતે શક્ય?…

ગુજરાત પાસે અરબ સાગરમાં એક એવી ઘટના ઘટી છે જેણે હવામાન વૈજ્ઞાનિકોને પણ અચંબિત કરી દીધા છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ સચિવ માધવન રાજીવનને પણ એક્સ હેન્ડ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું છે કે ઉત્તરી અરબ સાગર પર બનેલી સિસ્ટમને જોઈને હું ચોંકી ગયો છું.

ગુજરાત પાસે અરબ સાગરમાં એક એવી ઘટના ઘટી છે જેણે હવામાન વૈજ્ઞાનિકોને પણ અચંબિત કરી દીધા છે. સામાન્ય રીતે તોફાન સમુદ્રમાં બને છે ત્યારબાદ તેઓ જમીન પર આવીને વરસાદ વરસાવે છે. પરંતુ અહીં તો ઉલ્ટું થઈ રહ્યું છે. ગુજરાતની જમીન ઉપર લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદ વરસ્યો. ત્યારબાદ અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન જોવા મળ્યું. હવે આ જે સિસ્ટમ છે તે અરબ સાગરમાં વાવાઝોડામાં ફેરવાઈ રહી છે. જેનું નામ છે આશના.

1976 બાદ એટલે કે 48 વર્ષ બાદ પહેલીવાર આકાશમાં આવો ખળભળાટ મચ્યો છે. જ્યારે જમીનના એક મોટા હિસ્સાને પાર કરીને એક તોફાન સમુદ્રમાં જઈને ચક્રવાતી તોફાન એટલે કે વાવાઝોડામાં ફેરવાઈ રહ્યું છે. સૌથી વધુ ચોંકાવનારી વાત છે આ વાવાઝોડાનો સમય. સામાન્ય રીતે ચોમાસા સીઝનમાં અરબ સાગરનું તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નીચે રહે છે. સાઈક્લોન ત્યારે બને છે જ્યારે તાપમાન 26.5 ડિગ્રી સેલ્સિયસ ઉપર જાય. આથી જુલાઈ બાદ અને સપ્ટેમ્બર સુધીમાં આ વિસ્તારમાં સાઈક્લોન બનવાની શક્યતા ખુબ ઓછી રહે છે. દુર્લભ જ કહી શકાય. ચોમાસામાં અરબ સાગરનો પશ્ચિમી ભાગ ઠંડો રહે છે. ઉપરથી અરબ પ્રાયદ્વીપથી સૂકા પવનો આવે છે. આવામાં વાવાઝોડું બનતું નથી.

ક્યાં છે વાવાઝોડું

હવામાન વિભાગના આ નક્શામાં પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે જમીનથી શરૂ થનારું તોફાન હવે સમુદ્રમાં ચક્રવાતી તોફાન એટલે કે વાવાઝોડામાં ફેરવાઈ રહ્યું છે. આ સાથે જ તેનો રસ્તો પણ દેખાડવામાં આવ્યો છે. હાલ આ સાઈક્લોન કચ્છ અને આસપાસના પાકિસ્તાન કાંઠા વિસ્તારોથી દૂર પૂર્વોત્તર અરબ સાગરની ઉપર છેલ્લા 6 કલાક દરમિયાન 14 કિમી પ્રતિ કલાકની ઝડફથી પશ્ચિમ તરફ આગળ વધ્યું અને 30 ઓગસ્ટ 2024ના રોજ રાતે 11.30 વાગે કરાચીથી 160 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં એ જ ક્ષેત્ર પર કેન્દ્રિત હતું. એટલે કે આશના ગુજરાતના નલિયાથી પશ્ચિમ દિશામાં 170 કિલોમીટર દૂર, પાકિસ્તાનના કરાચીથી દક્ષિણમાં 160 કિલોમીટર અને પાકિસ્તાનના પસનીથી પૂર્વ દક્ષિણ પૂર્વમાં 430 કિલોમીટર દૂર છે.

આવી સીઝનમાં નથી બનતું વાવાઝોડું!

હાલના સમયમાં જે સ્થિતિ છે તે બિલકુલ ઉલ્ટી છે. બંગાળની ખાડી અને અરબ સાગરની સરખામણીમાં પશ્ચિમ અરબ સાગરમાં વાવાઝોડા ઓછા ઉદભવે છે. કારણ કે અહીંની સ્થિતિઓ વાવાઝોડા બનવા માટે ઓછી અનુકૂળ હોય છે. વાવાઝોડા માટે સમુદ્રના પાણીનું 50 મીટરના ઊંડાણ સુધી 26.5 ડિગ્રી સેલ્સિયસ ગરમ હોવું જરૂરી છે.

બંગાળની ખાડીમાં વધુ તોફાનો

જો ઈતિહાસમાં જઈને જોઈએ તો ઉત્તરી હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબ સાગરની સરખામણીમાં દર વર્ષે ફક્ત પાંચ જેટલા વાવાઝોડા ઉદભવે છે. એટલે કે વૈશ્વિક સરેરાશના માત્ર 5થી 6 ટકા. જ્યારે બંગાળની ખાડીમાં અરબ સાગરની સરખામણીમાં ચાર ગણા વધુ વાવાઝોડા આવે છે અથવા તો અહીં બને છે.

શું આ ગ્લોબલ વોર્મિગનું પરિણામ?

આમ તો વાવાઝોડું મે અને નવેમ્બર મહિનામાં વધુ જોવા મળતું હોય છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ સચિવ માધવન રાજીવનને પણ એક્સ હેન્ડ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું છે કે ઉત્તરી અરબ સાગર પર બનેલી સિસ્ટમને જોઈને હું ચોંકી ગયો છું. આપણે હંમેશા એ જાણ્યું છે કે આ સમય દરમિયાન ઉત્તરી અરબ સાગર ઠંડો રહે છે. જો ત્યાં વાવાઝોડું બની રહ્યું હોય છે તો તેનો અર્થ એ કે તે ગરમ છે. જે ગ્લોબલ વોર્મિંગ અને સ્થાનિક સ્તર પર વધતા તાપમાનનું પરિણામ છે. આમ આ રીતે ઉદભવેલા વાવાઝોડાના કારણે એ સવાલ ઉઠે છે કે શું આ ગ્લોબલ વોર્મિંગના કારણે થઈ રહ્યું છે. દેશ અને દુનિયાના વૈજ્ઞાનિકોએ તેની તપાસ કરવી જોઈએ. જેથી કરીને આગળ જઈને તોફાનની જમીનથી સમુદ્રમાં જઈને સાઈક્લોન બનવાની આ દુર્લભ ઘટનાની ભવિષ્યવાણી થઈ શકે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.