આતિશી આજે દિલ્હીમાં લેશે મુખ્યમંત્રી પદના શપથ, કેબિનેટમાં સામેલ થશે આ પાંચ ચહેરા…

Delhi Chief Minister Atishi Latest News : નામાંકિત મુખ્યમંત્રી આતિશી લગભગ 4:30 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, આતિશીએ સૌથી વધુ મંત્રાલયો સંભાળ્યા છે

Delhi Chief Minister Atishi : દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે નવા મુખ્યમંત્રી તરીકે આતિશી શપથ ગ્રહણ કરશે. મુખ્યમંત્રી આજે એટલે કે શનિવારે દિલ્હીમાં શપથ લેશે. નામાંકિત મુખ્યમંત્રી આતિશી લગભગ 4:30 વાગ્યે સીએમ તરીકે શપથ લેશે. આ સાથે સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની સાથે 5 મંત્રીઓ પણ શપથ લેશે. આતિશીની કેબિનેટમાં ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવતનો સમાવેશ થશે.

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાંથી છૂટ્યા બાદ અરવિંદ કેજરીવાલે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. કેજરીવાલે રાજીનામાની જાહેરાત કર્યા બાદ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી જેમાં આતિશીના નામને મંજૂરી આપવામાં આવી હતી. આતિશી અગાઉની કેજરીવાલ સરકારમાં કેબિનેટ મંત્રી હતા. હવે શનિવારે આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસમાં પણ શપથગ્રહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

આતિશીએ સૌથી વધુ મંત્રાલયો સંભાળ્યા છે

આતિશીને કેજરીવાલના સાથી અને વિશ્વાસુ માનવામાં આવે છે. અણ્ણા આંદોલનના સમયથી તેઓ કેજરીવાલની સાથે છે. તેમણે સરકારમાં વધુમાં વધુ મંત્રાલયો પણ સંભાળ્યા હતા અને કેજરીવાલ જેલમાં ગયા ત્યારથી તેઓ પક્ષ અને સરકાર સાથે સંબંધિત મોટાભાગના મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા રહ્યા છે. મંત્રી બનતા પહેલા આતિશીએ પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાના શિક્ષણ માટે સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું.

2020માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આતિશી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી 2023માં કેજરીવાલે તેમને પોતાની કેબિનેટમાં સામેલ કર્યા. 2020ની ચૂંટણીમાં પાર્ટીએ તેમને દિલ્હીની કાલકાજી વિધાનસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે આ બેઠક પર ભાજપના ઉમેદવાર ધરમવીર સિંહને હરાવ્યા હતા

આતિશી ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે

આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે. આ પહેલા ભાજપના દિવંગત અને દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસના શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. સુષ્મા સ્વરાજનો કાર્યકાળ ઘણો નાનો હતો જ્યારે શીલા દીક્ષિત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા. હવે દિલ્હીની કમાન આતિષી પાસે જવાની છે. કેબિનેટમાં જે ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે તેમાં મોટાભાગના જૂના ચહેરાઓ છે જેઓ અગાઉ મંત્રી રહી ચૂક્યા છે. મુકેશ અહલાવત પ્રથમ વખત મંત્રી તરીકે શપથ લેશે. કેજરીવાલના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને આ વર્ષે નવેમ્બરમાં જ વિધાનસભાની ચૂંટણી કરાવવાની માંગ કરી છે. પાર્ટીએ કહ્યું છે કે, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં નવેમ્બરમાં જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, તેથી તેણે બંને રાજ્યોમાં એકસાથે ચૂંટણી કરાવવાનો અનુરોધ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.