તો શું હવે મહેબૂબા મુફ્તીનો વારો? J&Kમાં PDPના બે નેતા નજરકેદથી મુક્ત

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા અને રાજ્યના પુનર્ગઠન બાદથી સાવચેતીના ભાગે રૂપે ત્યાંના કેટલાક સ્થાનિક અને જાણીતા નેતાઓને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આવા નેતાઓને મુક્ત કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. સોમવારે તંત્રે બે નેતાઓને નજરકેદમાંથી મુક્ત કરવાની જાહેરાત કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ બે નેતાઓને ધારાસભ્ય છાત્રાલયમાંથી તેમના ઘરે ખસેડવામાં આવશે. મુક્ત કરેલા આ લોકો ભૂતપૂર્વ ધારાસભ્ય છે. જોકે આ ધારાસભ્યોને મુક્ત કર્યાની ખબર ફેલાતા હવે પીડીપીના ચીફ મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લાની મુક્તીની અપેક્ષા કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે ધીમે-ધીમે નજરકેદ નેતાઓને મુક્ત કરવામાં આવશે.

મુદ્દા સાથે સંકળાયેલ એક અધિકારીએ જણાવ્યું કે પીડીપીના દિલાવર મીર અને ગુલામ હસન મીર 5 ઓગસ્ટથી નજરકેદ હતા અને 110 દિવસથી વધુની નજરકેદ બાદ નવા કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસનને તેમને મુક્ત કર્યા છે. મુક્ત કરેલા આ લોકો પૂર્વ ધારાસભ્ય છે અને કલમ 370ના કેટલાક પ્રાવધાનોને હટાવ્યા બાદથી પોતાના ઘરમાં નજરકેદ હતા. ઉપરાંત અધિકારીએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યની વિધાનસભામાં ધારાસભ્ય રહેલા અશરફ મીર અને હાકિન યાસીનને તેમના ઘરે ખસેડવામાં આવશે પરંતુ તેઓ નજરકેદ રહેશે. મીર અને યાસીન બંને 34 રાજકીય નેતાઓમાં હતા, જેમને શ્રીનગરની સેન્ટૂર હોટલમાંથી સ્થળાંતર કર્યા પછી ધારાસભ્ય છાત્રાલયોમાં રાખવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.