ગોધરા કાંડ-રમખાણોના પંચના રિપોર્ટ જાહેર કરવામાંય રાજકીય ગણતરી!, જાણો બન્ને રિપોર્ટ કેવા સમયે રજૂ થયા

૨૦૦૨ના ગોધરા કાંડ અને તે પછીના રાજ્યવ્યાપી કોમી રમખાણોની તપાસ માટે રચાયેલા જસ્ટિસ નાણાવટી પંચે બંને ઘટનાઓ વિષે પોતાના રિપોર્ટ આપી દીધા છે. યોગાનુયોગે આ બંને રિપોર્ટ વિધાનસભા ગૃહ સમક્ષ રજૂ કરી જાહેર કરવા પાછળનો જે સમય પસંદ કરવામાં આવ્યો છે તેમાં રિપોર્ટના તારણોના આધારે રાજકીય લાભ મેળવવાની ગણતરી હોય તેવી શક્યતા જણાય છે.

ગોધરા સ્ટેશને ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૦૨ના દિવસે સાબરમતી એક્સ્પ્રેસના કોચ એસ-૬ અને ૭ને આગ ચાંપવામાં આવી અને તેમાં ૫૯ કારસેવકોનાં મૃત્યુની ઘટનાની તપાસના સંદર્ભમાં નાણાવટી તપાસ પંચે ૧૮-૯-૨૦૦૮ના દિવસે પોતાનો પહેલો અહેવાલ સરકારને સુપરત કરેલો. આ રિપોર્ટ સરકારે ૨૫ સપ્ટેમ્બર, ૨૦૦૯ના દિવસે વિધાનસભામાં રજૂ કર્યો. આ રિપોર્ટમાં પંચે ગોધરા કાંડ એ પૂર્વયોજિત કાવતરું હોવાનું તારણ રજૂ કર્યું હતું. ૨૦૦૯માં દેશમાં લોકસભાની ચૂંટણીઓ યોજાયેલી.

ગોધરા કાંડના પગલે રાજ્યભરમાં કોમી રમખાણો ફાટી નીકળેલા અને એક અંદાજ મુજબ, ૧,૦૨૫નાં મોત થયેલા. આ રમખાણોની તપાસનો પાર્ટ-૨નો રિપોર્ટ નાણાવટી પંચે ૧૮-૧૧-૨૦૧૪ના દિવસે સરકારને સુપરત કરી દીધેલો. છતાં સરકારે તે પાંચ વર્ષ સુધી જાહેર ન કર્યો. છેક ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે તે વિધાનસભામાં મુકાયો છે. જેમાં તત્કાલીન મુખ્યમંત્રી, મંત્રીઓ, અધિકારીઓને સંપૂર્ણ ક્લીન ચિટ આપી આ રમખાણો ગોધરાકાંડના પ્રત્યાઘાતરૂપે થયા અને તે પૂર્વ આયોજિત નહોતા તેવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.