નાગરિકતા સંશોધન કાયદાનો હિંસક વિરોધઃ જાપાનનાં PM શિંજો આબેએ રદ કર્યો ભારત પ્રવાસ

નાગરિકતા સંશોધન કાયદાને લઈ પૂર્વોત્તર ભારતનાં 3 રાજ્યો આસામ, મેઘાલય અને ત્રિપુરામાં તણાવપુર્ણ હાલત છે. આસામમાં સ્કૂલો અને કોલેજોને 22 ડિસેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે. સેના અને પોલીસની તહેનાતી બાદ પણ પ્રદર્શનકારીઓ સતત કર્ફ્યુનું ઉલ્લંઘન કરી રહ્યા છે. અહીં સુધી કે, તેનાં પર પીએમ મોદીની અપીલની પણ કોઈ અસર જોવા મળી નથી. ત્યારે આસામનાં ગુવાહાટીમાં ભારત-જાપાન સમિટમાં ભાગ લેવા માટે આવી રહેલાં જાપાની પીએમ શિંજો આબેએ હિંસક પ્રદર્શનને જોતાં પોતાનો પ્રવાસ રદ કરી દીધો છે. આ કાર્યક્રમ 16 ડિસેમ્બરે ગુવાહાટીમાં થવાનો હતો.

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. પોતાની ટ્વીટમાં રવીશ કુમારે કહ્યું કે, ટૂંક સમયમાં આ સમિટ માટે બંને દેશો વચ્ચે સહમતિથી નવી તારીખ જાહેર કરવામાં આવશે.

જણાવી દઈએ કે 15થી 17 ડિસેમ્બર વચ્ચે ગુવાહાટીમાં શિખર વાર્તા થવાની હતી. ગુવાહાટીમાં ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે આ શિખર વાર્તાની તૈયારીઓ ચાલી રહી હતી. પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનનાં પીએમ શિંજો આબે આ શિખર સંમેલનમાં ભાગ લેવાના હતા. નાગરિકતા કાનૂનાં વિરોધમાં ગુવાહાટીમાં જોરદાર હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદો લાગુ થયા બાદ પૂર્વોત્તરમાં વિરોધ પ્રદર્શનમાં આગજનીનાં બનાવો પણ બન્યા છે. અને તેનાં કારણે ઈન્ટરનેટ સેવાઓ ઉપર બેન મૂકી દેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.