પાલિતાણા નજીકના હસ્તગીરી પંથકના ડુંગરાળ વિસ્તારોમાં આગ લાગી..

પવિત્ર જૈન તિર્થ સ્થળ પાલિતાણા નજીક આવેલાં હસ્તગીરી અને મુંડકીધાર પંથકના અંદાજે ચારેક કિલોમીટર ડુંગરાળ વિસ્તારમાં આગ લાગી હતી. બનાવના પગલે સરકારી તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.અને જયારે, ફાયરની ટીમે પણ સ્થળ પર જઈને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા. જો કે, સદનસીબે આગમાં જાનહાનિ થઈ ન હતી.

બનાવની પ્રાથમિક વિગત આપતાં પાલિતાણાના મામલતદાર અતુલભાઈ ભટ્ટે જણાવ્યું કે, પાલિતાણા નજીક આવેલાં હસ્તગીરી,હાથસણી તથા મુંડકીધારના વિસ્તારોમાં ગત રાત્રિના સુમારે ધીમે-ધીમે આગ શરૃ થઈ હતી. જો કે, ડુંગરાઓ પર સુકા ઘાસ અને પવનની ઝડપના કારણે આગ આગળ વધતી જતી હતી જે દરમિયાનમાં આજે બપોરના સુમારે આગની ઝડપ વધતાં પાલિતાણા મામલતદાર, પોલીસ અને વન વિભાગ સહિતનો મસમોટો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.અને આગની તિવ્રતા જોતાં તેને કાબૂમાં લેવા માટે પાલિતાણા અને ગારિયાધાર ફાયરની ટીમને બોલાવાતા ટીમે બપોરથી મોડી રાત સુધી સતત મહેનત કરીને આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હોવાનું મામલતદાર ભટ્ટે વિગતો આપતાં અંતમાં જણાવ્યું હતું .આગ ફેલાઈને અંદાજે ત્રણથી ચાર કિ.મી. વિસ્તારમાં પ્રસરી હોવાનું જણાવ્યું હતું. જો કે, આ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. જયારે, આગના બનાવમાં સદનસીબે જાનહાનિ થઈ ન હોવાનું પણ તેમણે વિગતો આપતાં જણાવ્યું હતું.મોડીરાત સુધી ડુંગરાળ વિસ્તારોમાં છુટ્ટાછવાયા સ્થળોએ આગ ચાલુ હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.