આણંદમાં ભાજપને ઝટકો! એક સાથે 23 હોદ્દેદારોના રાજીનામા, મહામંત્રીનો મોટો આરોપ..

આણંદના આંકલાવમાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે. કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદમાં ભાજપ સંગઠનમાં ઉથલપાથલ મચી ગઈ છે. એકસાથે ભાજપના 23 હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે.

આણંદ: આંકલાવ શહેર ભાજપ સંગઠનમાં મોટો ભડકો થયો છે. અહીંના રાજકારણમાં ગરમીનો પારો વધી ગયો છે. શહેર મહામંત્રીના રાજીનામા બાદ વધુ 22 હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે. ત્યારે એક સાથે 23 હોદેદારોના રાજીનામાં પડતા રાજકારણ ગરમાયું છે. 18 ઓગસ્ટના રોજ આંકલાવ શહેર મહામંત્રીએ અચાનક રાજીનામું આપી દીધું હતું. આ પછી મહામંત્રી વિશાલ પટેલના સમર્થનમાં આજે વધુ 22 રાજીનામા પડતાં રાજકારણમાં ગરમી વધી ગઈ છે.

આંકલાવ શહેર ભાજપના હોદ્દેદારોનો આરોપ છે કે પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા સભ્યો દખલગીરી કરે છે. જેનાથી હોદ્દેદારોએ નારાજ થઈને રાજીનામાં આપ્યા છે. મહામંત્રીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસમાંથી આવેલા સભ્યો દાદાગીરી કરે છે.

સસ્પેન્ડ થયેલાની પક્ષમાં ચાલતી દખલગિરીથી સ્થાનિક કાર્યકરો નારાજ છે. તો જિલ્લા સંગઠનની નબળી નેતાગીરી જવાબદાર હોવાની ચર્ચા જાગી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલના વિરોધમાં મહામંત્રીએ રાજીનામું આપ્યું હતું, તો મહામંત્રી વિશાલ પટેલના સમર્થનમાં આજે વધુ 22 રાજીનામા પડ્યા.

આંકલાવ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી વિશાલ પટેલે આ અંગે વાત કરતા જણાવ્યું કે “આનું કારણ એક જ છે કે ગત મહાનગરપાલિકા ચૂંટણીમાં મેન્ડેટ ન લીધેલું અને પક્ષની સામે જ લડેલા, અપક્ષમાં લડેલા જે કાર્યકર્તાઓ હતા, એમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા અને ફરીથી પાછા પક્ષમાં જોડવામાં આવ્યા. એ લોકો ક્યાંક ને ક્યાંક, જ્યાં સુધી સસ્પેન્ડ રહ્યા ત્યાં સુધી, ભારતીય જનતા પાર્ટીના કામો ન થાય એ માટે હેરાનગતિ કરતા જ હતા અને કનડગત કરતા હતા. પક્ષનું પરિણામ માઠું આવે એવા પ્રયત્નો કરતા હતા. પરંતુ પક્ષમાં લીધા પછી અમારે પણ એવું થઈ ગયું કે પક્ષના લોકોની સામે જ બાંયો ચઢાવી.”

વધુમાં જણાવતા તેમણે કહ્યું કે “એટલે અમને લોકોને પણ એવી તકલીફ થઈ ગઈ કે એ લોકોએ અમને હેરાનગતિ વ્યક્તિગત રીતે અને પરિવાર પર પણ ષડ્યંત્રો કરીને હેરાનગતિઓ કરવાની ચાલુ કરી, અને વારંવાર જિલ્લા સંગઠનમાં રજૂઆત કરવા માટે છેલ્લા 3 મહિનાથી સતત જતા હતા. અમને ભારતીય જનતા પાર્ટીના સંગઠને કશું કોઈજાતનું કંઈ કહ્યું નહીં પરંતુ જેમ અમને સંગઠને કંઈ કહ્યું નહીં એમ એમને પણ ઠપકો ન આપ્યો. એના કારણે પરિણામ એવું થયું કે એ લોકો ક્યાંક ને ક્યાંક પરિવાર સુધી પહોંચી ગયા. અને વ્યક્તિગત રીતે નુકસાન કરવાનું ચાલુ કર્યું.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.