આવાસ કૌભાંડમાં સસ્પેન્ડ કરાયેલ 2 મહિલા કોર્પોરેટરોને સોંપાઇ પક્ષની જવાબદારી, રાજકોટ ભાજપ વિવાદમાં…

રાજકોટ ભાજપમાં થોડા સમય પહેલા આવાસ કૌભાંડમાં સસ્પેન્ડ કરાયેલ બે મહિલા કોર્પોરેટરોને સદસ્યા અભિયાનની જવાબદારી સોંપાતા અનેક ચર્ચાઓ શરૂ થવા પામી છે.

ભાજપ દ્વારા હાલ પુરજોશમાં સદસ્યતા નોંધણી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ ભાજપમાં કૌભાંડીઓને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ કૌભાંડમાં સામેલ બે મહિલા કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટરોએ સદસ્યતા અભિયાની જવાબદારી સોંપવામાં આવતા ભાજપનાં કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

ભ્રષ્ટ્રાચારનાં આરોપોને લઈ ચેરમેન પદેથી રાજીનામું લેવાયું હતું

રાજકોટમાં થોડા સમય પહેલા ચર્ચાસ્પદ બનેલ આવાસ યોજનાં કૌભાંડમાં કોર્પોરેટરનાં પતિ મનસુખ જાદવ દ્વારા પૈસાની માંગણી કરતો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ રાજકોટ શહેર ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અને ભ્રષ્ટ્રાચારનાં આરોપોને લઈ દેવુબેન જાદવનું ચેરમેન પદેથી રાજીનામું લેવાયું હતું. તેમજ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્પોરેટરનો પાલિકામાં પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો હતો.

મહાનગર પાલિકા દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં છેલ્લા બે દિવસથી આવાસ કૌભાંડનો મુદ્દો ગુંજી રહ્યો હતો. ત્યારે આવાસ કૌભાંડના આક્ષેપ મામલે મહાનગરપાલિકા દ્વારા તપાસ કમિટીની રચના કરી દેવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ દ્વારા કોર્પોરેટર દેવુબેન જાદવ અને તેમના પતિ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જેમાં કોર્પોરેટર દેવુબેન જાદવ પાસેથી ચેરમેન પદ ભાજપ દ્વારા લઈ લેવામાં આવ્યું છે. તેમજ જો કોર્પોરેટર પર ભષ્ટ્રાચાર સાબિત થશે તો તેઓની સામે કડક કાર્યવાહી ભાજપ પક્ષ દ્વારા હાથ ધરવાની બાંહેધરી આપી હતી.

વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ગોકુલ નગર આવાસ યોજનામાં બાકી રહેલા 193 આવાસનો ડ્રો કરવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટરોના પતિઓ દ્વારા મળતીયાઓના નામે 20 જેટલા આવાસો પચાવી પાડ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા પણ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ વોર્ડ નંબર છ ના કોર્પોરેટર દેવુંબેન મનસુખભાઈ જાદવ પાસેથી કાયદો અને નિયમન સમિતિના ચેરમેન પદેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોર્પોરેશનમાં તેમજ પાર્ટીના કોઈપણ કાર્યક્રમમાં હાજરી ન આપવા સૂચના પણ આપવામાં આવી હતી. તેમજ કોર્પોરેટર દેવુંબેન જાદવના પતિ મનસુખ જાદવના ત્રણ જેટલા વિડિયો પણ વાયરલ થયા હતા.જે વાયરલ થયેલા વીડિયોમાં ફિમેલ હેલ્થ વર્કરની નોકરી માટે અઢી લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું કહેવું છે કે બંને કૌભાંડ મુદ્દે તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.