નવી બોટલ જૂનો દારૂ.. અજુઁન મોઢવાડિયાએ પણ પ્રમુખ બનવા જોર લગાવ્યું..

ગુજરાત કોંગ્રેસમાં આગામી દિવસોમાં મોટા ફેરફાર થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. રાજીવ સાતવના અવસાન બાદ હાઇકમાન્ડે નવા પ્રદેશ કોંગ્રેસ પ્રભારી પદે લગભગ અવિનાશ પાંડેની નિયુક્ત નક્કી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા વેપક્ષના નેતાપદે માટે ય કોંગ્રેસમાં લોબિંગ શરૂ થયુ છે.

આ દરમિયાન કોંગ્રેસના નેતા ભરત સોલંકી દિલ્હી પહોચ્યાં છે જેના કારણે અનેક રાજકીય તર્કવિતર્ક વહેતાં થયાં છે.ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની શોધખોળ આદ૨વામા આવી છે. સૂત્રોના મતે, કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના અવસાન બાદ ભરત સોલંકી ગુજરાત કોંગ્રેસ પર રાજકીય આધિપત્ય જમાવવા માંગે છે. નવા પ્રદેશ પ્રમુખપદની નિમણૂંક થાય તે પહેલાં જ અમદાવાદમાં કોળી, ઠાકોર અને ઓબીસી ધારાસભ્યોની એક ખાનગી બેઠક મળી હતી જેના કારણે ગુજરાત કોંગ્રેસનુ રાજકારણ ગરમાયુ છે.

કોંગ્રેસ પ્રમુખપદ માટે ભરત સોલંકી અને અર્જુન મોઢવાડિયાના નામો ;
અત્યારે તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદ માટે ભરત સોલંકી અને અર્જુન મોઢવાડિયાના નામો ચાલી રહ્યાં છે જયારે શક્તિસિંહ ગોહિલે આ પદ મેળવવા અનિચ્છા દર્શાવી છે. ઉત્તર ગુજરાતના ધારાસભ્યો ભરત સોલંકી પ્રદેશ પ્રમુખ બને તેમ ઇચ્છી રહ્યાં છે જયારે સૌરાષ્ટ્રના ધારાસભ્યો અર્જુન મોઢવાડિયાને પ્રદેશ કોંગ્રેસની કમાન સોંપવામાં આવે તેવો મત ધરાવે છે. વિધાનસભાની પેટાચૂંટણી ઉપરાંત સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં કારમી હાર થતાં અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ હતું.

હવે હાઇકમાન્ડે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા પ્રદેશ પ્રમુખ ઉપરાંત વિધાનસભા વિપક્ષના નેતાની શોધ શરૂ કરી છે.જોકે, હાઇકમાન્ડ હવે મજબૂત પ્રદેશ સંગઠન બને તેમ ઇચ્છી રહ્યું છે ત્યારે પ્રદેશ માળખાની રચના પણ ટૂંક જ સમયમાં કરવામાં આવશે. ભરત સોલંકી દિલ્હી પહોંચ્યા છે ત્યારે એવી ય ચર્ચા છે કે, ગમે તે ઘડીએ પ્રદેશ કોંગ્રેસ પ્રભારીના નામની જાહેરાત થઇ શકે છે. આ નિમણૂંકો પહેલાં જ ખાનગી બેઠકોનો દોર જામ્યો છે જેથી કોંગ્રેસમાં જૂથવાદ વકર્યો છે.

શંકરસિંહ વાઘેલાની થઈ શકે છે ઘરવાપસી
આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસમાં મોટા ફેરફાર થઇ છે. એટલું જ નહીં, કેટલાંય નેતાઓની ઘરવાપસી પણ થઇ શકે છે. કોંગ્રેસ છોડીને કેસરિયો ખેસ પહેરનારાં કેટલાંક નેતાઓની ઘરવાપસી થાય તે માટે ય કોંગ્રેસે રણનિતી ઘડી છે. સૂત્રોના મતે, શંકરસિંહ વાઘેલાની ય કોંગ્રેસમાં ઘરવાપસી થઇ શકે છે તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી છે. કેમકે, હાલમાં બાપુ ગુજરાતના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે પણ તેમની સાથે કેટલાંય કોંગ્રેસી નેતાઓ સાથે જ પ્રવાસમાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.