આખા શ્રીલંકામાં ચાર દિવસ કરફ્યુ, ઈટાલીમાં ચીન કરતા વધારે મોત, ચીનમાં વધુ એક પણ કેસ નહી

ભારતમાં એક દિવસ માટે રવિવારે જનતા કરફ્યુની અપીલ પીએમ મોદીએ કરી છે ત્યારે પાડોશી દેશ શ્રીલંકાએ કોરોનાથી બચવા માટે શુક્રવારથી લઈને સોમવાર એમ ચાર દિવસ માટે આખા દેશમાં કરફ્યુ નાંખી દીધો છે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના કાર્યાલયે આ વાતની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં 8000 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. કોરોના વાયરસથી શ્રીલંકા પણ મુક્ત રહી શક્યુ નથી.

બીજી તરફ શ્રીલંકામાં 25 એપ્રિલે યોજનારી સંસદની ચૂંટણી પણ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે કહ્યુ છે કે, હવે નવી તારીખ પર બાદમાં નિર્ણય લેવાશે.

શ્રીલંકામાં આજે સાંજે 6 વાગ્યાથી કરફ્યુ લાગશે અને સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાગુ રહેશે.

બીજી તરફ ઈટાલીમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યા 3405 પર પહોંચી ચુકી છે. જે ચીન કરતા પણ વધારે છે. ચીનમાં કોરોનાના કારણે 3132 લોકોના મોત થઈ ચુક્યા છે. આમ હવે ચીન કરતા ઈટાલીમાં વધારે લોકો મોતને ભેટી ચુક્યા છે.

ચીનમાં જોકે કોરોના પર કાબૂ મેળવી લેવાયો હોય તેમ લાગે છે. કારણકે ચીનમાં સતત બીજા દિવસે પણ કોરોનાનો કોઈ કેસ સામે આવ્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.