અમારી વિચારધારા અલગ, સત્તા હડપી લેવી મારું હિન્દુત્વ નથી: ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ હિંદુત્વના મુદ્દા પર BJPને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, અમારા વિચાર સમાન નથી. ધર્મનો ઉપયોગ કરવો અને સત્તા મેળવવી મારું હિંદુત્વ નથી. હું એવું હિંદુ રાષ્ટ્ર નથી ઇચ્છતો, જ્યાં શાંતિ ન હોય. હું આવા હિન્દુ રાષ્ટ્રની કલ્પના પણ ન કરી શકું. મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ કહ્યું હતું કે, મારું હિંદુત્વ BJPના હિંદુત્વ કરતા અલગ છે. BJPનો ઉલ્લેખ કરતા ઉદ્વવ ઠાકરેએ કહ્યું હતું કે, તેઓ દરેક વખતે કહે છે કે, હિંદુ રાષ્ટ્ર હોવું જોઇએ પરંતુ, લોકો એકબીજાને મારી રહ્યાં છે અને દેશમાં અશાંતિનો માહોલ છે આ તેમનું હિંદુત્વ નથી. આ તે નથી જે શીખવવામાં આવે છે. જે લોકોએ સત્તા મેળવવા હિંદુત્વની ખોટી વ્યાખ્યા આપી, તેઓ હિંદુત્વના હિમાયતી નથી.

અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર ઉદ્વવે કહ્યું હતું કે, મેં NRCનો વિરોધ કર્યો તેનો મતલબ દેશદ્રોહી અને તમે સમર્થન કર્યું એટલે તમે દેશભક્ત છો, એવું નથી. NRC આવ્યું કે, તમારે પણ નાગરિકતા સિદ્વ કરવા ઊભા રહેવું પડશે. તમારા પણ માતા-પિતા અને પરિવાર હશે. તેમણે પણ આ મુશ્કેલી વેઠવી પડશે. આ ઉપરાંત, મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, આદિવાસીઓનું શું થશે? જંગલ અને પર્વતોમાં રહેનારા આદિવાસીઓ ક્યાંથી જન્મના પુરાવા લાવશે? એ જણાવો. આદિવાસીઓને જ્યારે ખબર પડશે ત્યારે આદિવાસીઓ પણ રસ્તાઓ પર ઉતરશે.

ઉદ્વવ ઠાકરેએ કહ્યું હતું કે, NRC લાવવાની હિંમત છે એ લોકોમાં? પછી શું તમે ભેદભાવ કરી રહ્યાં છો? એમણે એવું બતાવવું છે કે, અમે ઘૂષણખોરોને કાઢવા માંગીએ છીએ, પરંતુ આ લોકો કાઢવા નથી દેતા. અર્થાત આ લોકો દેશદ્રોહી છે. થઇ ગયું, એ લોકોનું કામ થઇ ગયું. ચૂંટણી જીતી ગયા પરંતુ હવે આમ નહીં થાય. કેમ કે, NRCનો અર્થ ધીરે ધીરે લોકો સમજી રહ્યાં છે. નાગરિકતા સિદ્વ કરવું એ માત્ર મુસલમાનો સુધી સીમિત નથી, પરંતુ હિન્દુઓને પણ મુશ્કેલી થશે. હું આ કાયદાને આવવા નહીં દઉ. હું મુખ્યમંત્રીની રીતે અથવા હું મુખ્યમંત્રી નહીં હોઉ તો પણ કોઇનો અધિકાર લેવા નહીં દઉં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.