અમાસ હોવાથી રસ્તો બદલીને ઓમકારેશ્વરથી ઉજ્જૈન જવાનો પ્લાન બનાવ્યો, વડોદરાના પરિવારને રસ્તામાં મળ્યું મોત

મધ્યપ્રદેશના ધાર પાસે સોમવાર સવારે ૧૧ કલાકે રેતી ભરેલા ઉભેલા ડમ્પર સાથે વડોદરાના બિલ્ડરની કાર ભટકાતા કારમાં મુસાફરી કરી રહેલા બિલ્ડર અને ત્રણ મહિલા મળી ચારના મોત નિપજયા હતા. જયારે કાર ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતનો ભોગ બનનાર કારની પાછળજ આવી રહેલા બિલ્ડરના અન્ય સબંધીઓએ અકસ્માત જોતા તેઓના હોંશકોંશ ઉડી ગયા હતા.

વડસરની પુષ્પક સોસાયટીમાં રહેતા પરેશભાઇ ઉર્ફે પ્રવિણ જયંતિભાઇ પટેલ અને તેમના પરિવારના ૧૧સભ્યો બે કારમાં આવતીકાલે અમાવસ્યા હોવાથી ઓમકારેશ્વર નર્મદા નદીમાં સ્નાન અને ઉજજૈન મહાકાલના દર્શન કરવા જવા માટે નીકળ્યા હતા. પરેશભાઇ બિલ્ડર તરીકેના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હતા.

સવારે ૭ કલાકે તેઓ નીકળ્યા હતા. ત્યારે વડસર હનુમાનજી મંદિર દર્શન કરીને નીકળ્યા હતા. સવારે ૧૧ કલાકે ઇન્દોર-અમદાવાદ હાઇવે ઉપર ધાર નજીક તેમની કાર ઉભેલા રેતી ભરેલા ટેન્કર સાથે ભટકાતા ચારના મોત નિપજયા હતા.જેમાં પરેશભાઇ ઉર્ફે પ્રવિણ જયંતિભાઇ પટેલ, અમીષા પ્રવિભાઇ પટેલ, સુમિત્રા દિપકભાઇ પટેલ અને વર્ષા ઠાકુરનો સમાવેશ થાય છે.

કાર ચલાવી રહેલા દિપકભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. તેઓની પાછળની કારમાં જઇ રહેલા કેતનભાઇ પટેલની કાર અકસ્માત નડયો તે કારથી લગભગ બે કિ.મી દુર હતી. તેમની કાર જયારે અકસ્માતના સ્થળે પહોંચી ત્યારે અકસ્માતનુ દ્રશ્ય જોઇને તેમના હોંશકોંશ ઉડીગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.