સામાન્ય સભામા ઇલેક્ટ્રિક બસના મુદ્દે સવાલ પુછાતા AMC કમિશનર મિટિંગ છોડીને ભાગ્યા

અમદાવાદ રીવરફ્રન્ટ હાઉસ ખાતે AMTSની વાર્ષિક સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં AMTSના ચેરમેન અતુલ ભાવસાર અને અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આમને સામને આવી ગયા હતા. જેના કારણે હોબાળાના દૃશ્યો સર્જાયા હતા. હોબાળાના કારણે અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સામાન્યસભા છોડીને ચાલ્યા ગયા હતા.

આ હોબાળો થવાનું કારણ એ હતું કે, AMTSના ચેરમેન અતુલ ભાવસાર દ્બારા અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, AMC દ્વારા ખરીદવામાં આવેલી 300 ઇલેક્ટ્રિક બસોનો ખર્ચ વધુ થઇ રહ્યો છે અને કેન્દ્ર સરકાર જે સબસીડી આપવામાં આવે છે, તે સબસીડી મળતી નથી. તેના કારણે 8 વર્ષમાં કોર્પોરેશનની તિજોરી પર 268 કરોડનો ખર્ચનો બોજો થયો છે, જેના કારણે આ બસોની ખરીદી ન કરવામાં આવે.

આ ઉપરાંત એવો પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, 300 જેટલી બસોની કોર્પોરેશન પાસે જગ્યા પણ નથી અને જેટલી બસો હાલમાં છે, તે પણ વધારે છે. આ સવાલનો જવાબ AMC કમિશનર વિજય નેહરાએ નહીં આપતા હોબાળાના દૃશ્યો સર્જાયા હતા અને આખરે કંઈ પણ બોલ્યા વગર મ્યુનિસિપલ કમિશનર AMTSની સામાન્ય વાર્ષિક સભા છોડીને ચાલ્યા ગયા હતા. આ પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે, AMC કમિશનર અને AMTSના ચેરમેન વચ્ચે જ તાલમેળ નથી અને AMCએ ઇલેક્ટ્રિક બસ ખરીદવાને લઇને કરેલા નિર્ણયની સાથે AMCના જ કેટલાક અધિકારીઓ પણ સહમત નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.