અમિત શાહ પાસે શિવસેનાના નેતા સંજય રાઉતે શા કારણે માગવી પડી મદદ

કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે લાંબા સમયથી ચાલતા બેલગામ સરહદ વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની એક ઇંચ જમીન પણ મહારાષ્ટ્રને આપવામાં આવશે નહીં. તેમણે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજકીય લાભ માટે આ મુદ્દાને ફરી ઉઠાવી રહ્યા છે. રવિવારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને અપીલ કરી છે કે તેમણે વિવાદનું સમાધાન કરવું જોઈએ.

તેમણે કહ્યું, બેલગામમાં રહેતા મરાઠી લોકો છેલ્લા 70 વર્ષથી આ લડત લડી રહ્યા છે અને મહારાષ્ટ્રમાં સમાવિષ્ટ કરવાની માગ કરી રહ્યા છે. આ કેસ સુપ્રીમ કોર્ટમાં 14 વર્ષથી પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય લેશે તે સ્વીકારીશું. રાઉતે વધુમાં કહ્યું કે, ‘ત્યાં લાખો મરાઠી લોકો વસવાટ કરે છે અને તેઓ તેમની ભાષા અને સંસ્કૃતિનું પાલન કરતા રહેશે. હું કર્ણાટકના મુખ્ય પ્રધાનને અપીલ કરું છું કે કોઈ ભાષાના વિવાદમાં ન આવે.

સંજય રાઉતે કહ્યું કે, ગૃહમંત્રાલયે કાશ્મીર વિવાદનું સમાધાન કર્યું અને કલમ 370ની જોગવાઈઓને હટાવી દીધી. જો અમિત શાહ ઈચ્છે તો બેલગામ વિવાદનું સમાધાન પણ કરી શકે છે. આ મામલો ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. એક મજબૂત ગૃહમંત્રી , જેમણે બંધારણની કલમ 370 હટાવી , તેઓ જ નિરાકરણ લાવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.