સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા વિચારોનું વાવેતર કાર્યક્રમ યોજાયો

માણસની સફળતા અને સુખાકારી તેની વ્યવહાર કુશળતા ઉપર આધાર રાખે છે. તેવી સમજણ અને આવડતની દિશા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારવાનું વાવેતર થાય છે. તારીખ ૨૭મી જૂન ૨૦૨૪ ને ગુરુવારે વરાછા બેંકના ઓડિટોરિયમાં યોજાયેલ થર્સ–ડે થોર્ટ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું કે, જીવનની ગુણવત્તા, પ્રગતિ અને સુખાકારીનો આધાર તેની વ્યક્તિગત કુનેહ – સુઝ અને કોઠા સુઝ ઉપર હોય છે. બે વ્યક્તિ એક જ વ્યવસાય કે ધંધામાં હોય તો બંનેની પ્રગતિ એકસરખી હોતી નથી. તફાવતનું કારણ તેનું વ્યક્તિગત કૌશલ્ય હોય છે. વ્યક્તિગત જીવનમાં વ્યક્તિ તેના સ્વભાવ અને વિશેષ આવડતને કારણે ગુણવત્તા વાળી જિંદગી જીવતો હોય છે.

સામાન્ય માંથી અસામાન્ય બનવું તે જીવનની ખરી સફળતા છે. – કાનજી ભાલાળા

નવા વિચાર આપતા કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે, જીવન એક કળા છે તેને મન ભરીને જીવવા કુશળતા જરૂરી છે. જીવન જીવવાની કળા એટલે કે આર્ટ ઓફ લિવિંગ સમજવાની અને કેળવવાની જરૂર છે. સફળતા એટલે શું? દરેક ક્ષેત્રમાં અને વ્યક્તિગત જીવનમાં પણ સામાન્ય માંથી અસામાન્ય બનવું તે જીવનની ખરી સફળતા છે. બાહ્યજગત સામે માત્ર પ્રતિક્રિયામાં જ જિંદગી વેડફી નાખવાને બદલે નિપુણ બની કુશળ જીવન જીવવાની જરૂર છે. ખરેખર તન અને મન અખૂટ શક્તિનો સ્ત્રોત છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ જ ખરું કૌશલ્ય છે. જીવનમાં વિવેક ભાન સાથે સમતોલપણું પરિસ્થિતિનો સ્વીકાર, માફ કરવું, મહત્વ આપવું તથા વર્તમાનમાં જીવવું તે જીવન કૌશલ્યના પાંચ મજબૂત પાયા છે. જીવનમાં દરેક ક્ષેત્રમાં કુશળતા જ માણસને સફળ બનાવે છે.

વિકાસ કરવો તે માણસની પ્રકૃતિ છે. – સી.એ. જય

સુરતના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ અને આંતર રાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા શ્રી જય છૈરા ખાસ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને જીવનનો આધાર ગણાવી વિકસવા માટે આજુ–બાજુ ના વાતાવરણને મહત્વ આપ્યું હતું. વિકાસ કરવો તે માણસની પ્રકૃતિ છે. ઉંમરની સાથે તેમણે સતત વિકસવા અને ખુશ રહેવા અને વ્યવહાર કુશળતા કેળવવા જણાવ્યું હતું. માણસ ચેપી છે તે સુખી હોય તો સુખ આપે છે, અને દુઃખી હોય તો બીજાને દુઃખ આપે છે. કુદરતી રીતે થતી વૃદ્ધીમાં આરોગ્ય સંપત્તિ અને સુખનો વધારો થાય તો જીવન સાર્થક છે. મન બાળક જેવુ છે. જીજ્ઞાસા જાળવી રાખો દુરદેશી વિશારોને અપનાવો ત્થાવ્યક્તિગત વિકાસ માટે આધ્યાત્મિકતા ને પણ જરૂરી ગણાવી હતી.

દીવાલોને બોલતી કરનાર મિત્તલ સોજીત્રાનું સન્માન 

સુરતમાં ફ્લાય ઓવર બ્રીજ, આંગણવાડી અને શાળાઓની દીવાલો ઉપર વિવિધ ચિત્રો બનાવી સુરતના બ્યુટીફીકેશનમાં મહત્વની ભૂમિકા ભજવનાર મિત્તલ જયસુખભાઈ સોજીત્રાનું તેના કૌશલ્ય અને સિદ્ધિ બદલ અભિવાદન કરવામાં આવ્યું હતું. સુરત, નવસારી, રાજકોટ અને અમદાવાદ શહેરની દીવાલોને બોલતી કરવાનું રંગીન કાર્ય કરનાર મિત્તલબેન આજે પીન્ટુરા આર્ટ પ્રા. લિ. ના ફાઉન્ડર છે. દીવાલો ઉપર મનમોહક ચિત્રો બનાવી સુરતને ખુબ સુરત બનાવનાર મિત્તલબેનની વિશેષ સિદ્ધિને સન્માનિત કરવામાં આવી હતી. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી નિર્માણાધીન જમનાબા ભવન અને કિરણ મહિલા ભવનની દીવાલોને સજાવટ કરવા મિત્તલબેન તરફથી આજે તેમણે સંકલ્પ કર્યો છે.

વરાછાબેંક સ્ટાફ ટીમ અને પટેલ સમાજની યુવા ટીમની સુંદર વ્યવસ્થામાં ૫૦૦ વ્યક્તિઓની હાજરીમાં ગત ગુરુવારનો વિચાર રજુ કરતા ડો. જય ભુવાએ જણાવ્યું હતું કે, સ્ટ્રેસ માણસના તન અને મનને નુકસાન કરે છે. સમગ્ર કાર્યક્રમનું સંકલનશ્રી હાર્દિકભાઈ ચાંચડે કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.