સુરત મનપાની વધુ એક બેદરકારી, આવાસમાં છતનાં પોપડાં પડતાં, એક બાળકીનું મોત..

સુરત પાલિકા સંચાલિત પાંડેસરા ભેસ્તાન આવાસમાં નિદ્રાવાન પરિવાર પર સીલિંગનાં પોપડાં તૂટી પડતાં માતા-પિતા અને માસૂમ ઘવાયાં હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, પણ 1 વર્ષીય માસૂમ બાળકી સિયા ખાંડેને સિવિલ લાવતાં મૃત જાહેર કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

7-8 વર્ષ જૂના આવાસમાં વારંવાર પોપડાં પડવાની ઘટના બાદ પણ બેજવાબદાર બનેલા પાલિકાના અધિકારીઓના પાપે માસૂમનો ભોગ લીધો હોવાનો પરિવારે આરોપ લગાડ્યો છે. ખાડે પરિવાર ભાડા પર રહેતા હતા. માતા-પિતાને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ પણ દીકરીના મોતથી અજાણ રખાયા હોવાનું પરિવારે જણાવ્યું છે. જોકે રવિવારની મધરાત્રે બનેલી ઘટના બાદ આવાસના લોકોમાં રોષ જોવા મળ્યો છે.બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, બાળકીના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા મામલો ગરમાયો હતો.

પાલિકાની બેજવાબદારીએ માસૂમનો ભોગ લીધો હોવાનો આક્ષેપ ;

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ 4 કે 5મી ઘટના છે. પોપડાં પડતાં હોવાનું વારંવાર પાલિકાને જાણ કરાઈ છે છતાં કોઈ રિપેરિંગ કરતા નથી. પાલિકાની બેજવાબદારીએ માસૂમનો ભોગ લીધો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે, જેને લઈ આવાસની તમામ મહિલાઓ પોસ્ટમોર્ટમ રૂમ પર ભેગી થઈ વિરોધ કરી રહી છે. દરમિયાન મૃતકના નાનાએ જણાવ્યું હતું કે ફરિયાદ દાખલ નહિ થાય ત્યાં સુધી માસૂમનો મૃતદેહ અંતિમસંસ્કાર માટે નહીં સ્વીકારીએ.

ધડાકાભેર અવાજ આવતા જ સમગ્ર આવાસ દોડી આવ્યું ;

મૃતકની ફોઇએ જણાવ્યું કે, બાળકી 1 વર્ષની જ હતી. રવિવારે રાત્રે ભોજન બાદ પરિવાર સૂઈ ગયો હતો. ત્યારે અચાનક ભેસ્તાન સરસ્વતી આવાસનાં 20 બિલ્ડિંગ પૈકીના એક બિલ્ડિંગના મકાનની છતનાં પોપડાં તૂટી પડતાં માતા-પિતા અને માસૂમ બાળકી ગંભીર રીતે ઘવાયા હતાં. તાત્કાલિક સમગ્ર આવાસ ભેગું થઈ ગયું હતું. તમામને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય હતાં જ્યાં બાળકીને મૃત જાહેર કરાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.