અનુચ્છેદ 370 હટાવવાનો કેસ મોટી બેન્ચ પાસે નહીં મોકલવાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. ચુકાદામાં કોર્ટે કહ્યું છે કે, આ કેસ મોટી બેન્ચને મોકલવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બંધારણીય બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાના મુદ્દે 23 અરજીઓ વિશે સુનાવણી થવાની છે.

હકીકતમાં અરજીકર્તાઓએ પાંચ જજની બંધારણીય બેન્ચને બે અલગ અલગ અને વિરોધાભાસી નિર્ણયની વાત કરીને કેસને મોટી બેન્ચ પાસે મોકલવાની માંગણી કરી હતી. આ વિશે સુનાવણી કરતાં જસ્ટિસ એનવી રમન્નાની આગેવાનીમાં 5 જજની બંધારણીય બેન્ચે 23 જાન્યુઆરીએ નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો. આજે કોર્ટે ચુકાદો આપતા કહ્યું છે કે, આ મુદ્દો મોટી બેન્ચને મોકલવામાં નહીં આવે.

કેન્દ્ર સરકારે આ અરજીઓનો વિરોધ કર્યો હતો. કેન્દ્રની દલીલ છે કે, જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં ફેરફાર માટે અનુચ્છેદ 370 હટાવવો જ એકમાત્ર વિકલ્પ હતો. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે દરેક પક્ષની દલીલ સાંભળી હતી અને મોટી બેન્ચમાં કેસ મોકલવા મામલે ચુકાદો સુરક્ષીત રાખવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, આ કેસની સુનાવણી કર્યા પછી અમે ફરી આ વિશે વિચાર કરીશું કે આ કેસને ક્યાં મોકલવો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.