અશોક ગેહલોતે તમામ ધારાસભ્યોને જયપુર બોલાવ્યા, કહ્યું- જેનો ફોન બંધ આવશે….

જો કોઈ ધારાસભ્ય સચિન પાયલોટ સાથે ગયા હોય તો તેનો અર્થ એવો નથી કે તે અશોક ગેહલોતની વિરૂદ્ધ ગયા

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતાના નિવાસસ્થાને કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓ સાથે બેઠકો કરી રહ્યા છે. સવારના 10 વાગ્યાથી કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓની મુખ્યમંત્રી સાથેની મુલાકાતનો સિલસિલો ચાલી રહ્યો છે. કોંગ્રેસ સરકારના તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને પોતાનું ક્ષેત્ર છોડીને જયપુર પહોંચવા કહેવામાં આવ્યું છે. જેમના માટે સંભવ હોય તે તમામને મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળવા મુખ્યમંત્રી નિવાસ ખાતે પહોંચવા કહેવામાં આવ્યું છે.

રાજસ્થાનના પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસના કહેવા પ્રમાણે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ગેહલોતે એમ કહ્યું હતું કે, ‘કોઈ પણ ધારાસભ્ય કે મંત્રીનો ફોન બંધ આવે કે તે મળે નહીં તો ડરશો નહીં, જઈને તેનો સંપર્ક કરો. સરકારને બચાવવાની જવાબદારી બધાની જ છે.’ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી અશોક ગેહલોત દિલ્હી ગયેલા ધારાસભ્યોના સંપર્કમાં છે. સચિન પાયલટ અમારા પ્રદેશ અધ્યક્ષ છે. જો કોઈ ધારાસભ્ય તેમના સાથે ગયા હોય તો તેનો અર્થ એવો નથી કે તેઓ અશોક ગેહલોતની વિરૂદ્ધ ગયા છે. તે પૈકીના મોટા ભાગના લોકો સાથે મુખ્યમંત્રીએ વાત કરી છે. જો કે ભાજપ આ સરકારને પાડી દેવા પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ મુખ્યમંત્રી તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

પ્રતાપ સિંહે જણાવ્યું કે, ભાજપ સતત પૈસા લઈને સંપર્ક કરી રહ્યું છે પરંતુ તેમને સફળતા નથી મળી રહી. આ બધા વચ્ચે રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તરફથી કોંગ્રેસના ધારાસભ્યો, સીએમ, ડેપ્યુટી સીએમને નોટિસ મોકલવામાં આવી તેને લઈ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સ્પષ્ટતા આપી છે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘કોંગ્રેસ ધારાસભ્ય દળે એસઓજીને ભાજપના નેતાઓ દ્વારા ખરીદ-વેચાણના પ્રલોભન અંગેની ફરિયાદ કરી હતી તેના સંદર્ભે મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, ચીફ વ્હિપ અને અન્ય કેટલાક મંત્રી તથા ધારાસભ્યોને સામાન્ય નિવેદન આપવા નોટિસ આવી છે. કેટલાક મીડિયા તેને અલગ રૂપથી પ્રસ્તુત કરી રહ્યા છે જે અયોગ્ય છે.’

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.