ભારતે વિદેશી નાગરિકોને આપેલાં તમામ કેટેગરીના વિઝા રદ્ કર્યા

ભારત ગૃહ મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડયું

લોકડાઉનના કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોના વિઝાની સમયમર્યાદા ૩૦ દિવસ વધારી

ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને આગામી મહિનાઓ માટે અપાયેલા તમામ પ્રકારના વિઝા રદ્ કર્યા છે. ખાસ કેટેગરીને બાદ કરતા બધા જ પ્રકારના વિઝા રદ્ કર્યા હોવાની જાહેરાત સરકારે કરી હતી.

ગૃહ મંત્રાલયે નોટિફિકેશનમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય હવાઈ વ્યવહાર બંધ હોવાથી આગામી મહિનાઓ માટે મંજૂર કરાયેલા તમામ પ્રકારના વિઝા રદ્ કરાયા છે. કોરોના મહામારીના કારણે ભારતમાં લોકડાઉન હોવાનું પણ એક કારણ રજૂ કરાયું હતું.

વિદેશી રાજદૂતો, યુએનના અધિકારીઓ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડિરેક્ટર્સ, સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે સંકળાયેલી સંસ્થાઓના અધિકારીઓ વગેરેના વિઝા અપવાદ રૂપે રદ્ કરાયા નથી. એ સિવાયની તમામ કેટેગરીના વિઝા તાત્કાલિક અસરથી સરકારે રદ્ કર્યા છે. અનિવાર્ય સંજોગોમાં વિદેશના સરકારી અધિકારીઓને પણ વિઝા અપાઈ શકે છે એવું નોટિફિકેશનમાં કહેવાયું હતું.

જોકે, લોકડાઉનમાં ફસાયેલા વિદેશી નાગરિકોના વિઝાની સમયમર્યાદા ભારત સરકારે એક મહિના માટે વધારી દીધી છે. ગૃહ મંત્રાયલે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વિમાની સેવા બંધ હોવાથી ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોને ૩૦ દિવસ માટે રાહત આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.