ભારતીય સેનામાં કોરોનાનું ગ્રહણઃ CRPFના જવાનનું સંક્રમણથી મોત, આખી બટાલિયન સીલ કરાઈ

સીઆરપીએફના 31 બટાલિયનમાં તૈનાત સબ-ઇન્સ્પેક્ટર ઇકરામ હુસૈનનું મંગળવારે કોરોના વાયરસને કારણે મૃત્યુ થયું છે. અત્યાર સુધીમાં સીઆરપીએફના 46 સભ્ય કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે. જ્યારે 257 ટેસ્ટના પરિણામ આવવાના બાકી છે. લગભગ બટાલિયનના 1100 સભ્યોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. અને સમગ્ર બટાલિયનને સીલ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સીઆરપીએફમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધવાને લઇને ગૃહ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી છે. ગૃહ મંત્રાલયે સીઆરપીએફના ડીજી પાસે આ મામલે રિપોર્ટ માંગ્યો છે અને પૂછ્યુ છે કે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવામાં ક્યાં ચૂક રહી ગઇ છે.

અપ્રિલના શરૂઆતમાં સીઆરપીએફમાં 5 દિવસના ક્વૉરન્ટાઇન માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી, જ્યારે ગૃહ મંત્રાલયે તેનો સમયગાળો 14 દિવસનો નક્કી કર્યો હતો. જો કે ત્યારબાદ સીઆરપીએફે પણ તેમા બદલાવ કરીને ક્વૉરન્ટાઇન 14 દિવસનું કરી દીધુ હતું. આ મામલે 30 એપ્રિલ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ ઉપરાંત સીઆરપીએફ દ્વારા એક આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં રજા ભોગવી રહેલા પેરામેડિકલ સ્ટાફને નજીકના સીઆરપીએફ હૉસ્પિટલમાં રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન કોઇ પણ પ્રકારના લૉકડાઉનનું ઉલ્લંઘન ન થાય તે માટે સૂચવ્યું હતું. આ દરમિયાન જોડાતા સભ્યોને 5 દિવસ ક્વૉરન્ટાઇન રહેવાનો ઑર્ડર આપવામાં આવ્યો હતો.

સીઆરપીએફમાં કોરોના સંક્રમણના કારણે જે ઇકરામ હુસૈનનું મોત થયું છે તેઓ કુપવાડામાં તૈનાત હતા. પરંતુ રજા પર પોતાના ઘર નોઇડા આવ્યા હતા અને ઑર્ડર મળ્યા બાદ તેઓ મયૂરવિહારની હૉસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો હતો. ક્વૉરન્ટાઇન દરમિયાન ઇકરામમાં કોઇ પણ કોરોનાના લક્ષણ જોવા મળ્યા ન હતા.

ઇકરામ હુસૈન 16થી 18 એપ્રિલ દરમિયાન કોરોના વાયરસ પીડિતોના સંપર્કમાં આવ્યા પરંતુ 24 એપ્રિલે તેમને આ વિશે માહિતી મળી. ત્યારબાદથી જ સીઆરપીએફમાં કોરોના વાયરસના કેસ પૉઝિટિવ હોવાનું જાણવા મળી રહ્યું છે. સતત કોરોના સંક્રમણ વધતા જોઇ સીઆરપીફમાં જ એક કોવિડ મેનેજમેન્ટ યૂનિટ બનાવી દેવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.