ભ્રષ્ટાચારના કેસમાં ફસાયા TDPના નેતા, ચંદ્રાબાબુ નાયડુ દેશ છોડવાની ફિરાકમાં હોવાનો YSR કોંગ્રેસનો દાવો

શ્રીકાંત રેડ્ડીએ ચંદ્રાબાબુ નાયડુ ભ્રષ્ટાચારમાં પોતાનો રોલ જાહેર થવાની આશંકાથી ડરેલા છે તેવો દાવો કર્યો

 

કોરોનાના સંક્રમણ વચ્ચે આંધ્ર પ્રદેશમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર ખેંચમતાણ ચાલી રહી છે. રાજ્ય પ્રશાસને ભ્રષ્ટાચારના આરોપસર ટીડીપીના બે મોટા નેતાઓની ધરપકડ કરી છે. ત્યારે ટીડીપી દ્વારા જગન મોહન સરકાર ટીડીપીના નેતાઓ વિરૂદ્ધ બદલાની કાર્યવાહી કરી રહી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

વાઈએસઆર કોંગ્રેસના મહાસચિવ વિજય સાંઈ રેડ્ડીએ એક ટ્વિટમાં ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ દેશ છોડીને ભાગી જવાની તૈયારીમાં હોવાનો દાવો કર્યો છે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘ચંદ્રાબાબુ નાયડુએ દેશમાંથી ફરાર એક બિઝનેસમેનનો સંપર્ક કર્યો છે જે હાલ લંડનમાં છે. નાયડુ તે બિઝનેસમેન પાસેથી દેશ છોડીને ભાગવાનો સારો ઉપાય જાણવા માંગતા હતા.’

YSRCPના ચીફ વ્હિપ જી શ્રીકાંત રેડ્ડીએ ચંદ્રાબાબુ નાયડુ ભ્રષ્ટાચારમાં પોતાનો રોલ જાહેર થવાની આશંકાથી ડરેલા છે માટે પોતાની પાર્ટીના નેતાઓની ધરપકડ પર વિલાપ કરી રહ્યા છે તેવો દાવો કર્યો હતો.

આ તરફ વાઈએસઆર કોંગ્રેસે તપાસ એજન્સીઓની પ્રશંસા કરી છે અને સરકાર ટીડીપી વિરૂદ્ધ બદલાની કોઈ કાર્યવાહી નથી કરી રહી પરંતુ ભ્રષ્ટાચારના આરોપીઓ વિરૂદ્ધ નિશ્ચિતરૂપથી પગલા લેવાશે તેમ જણાવ્યું હતું.

શ્રીકાંત રેડ્ડીએ શું ચંદ્રાબાબુ ભ્રષ્ટાચારમાં સામેલ લોકો વિરૂદ્ધ કાર્યવાહી થાય તેમ નથી ઈચ્છતા કે પછી પોતાની ભૂમિકા સામે આવવાને લઈ ડરેલા છે તેવો સવાલ કર્યો હતો.

સરકારે ટીડીપીના બે ધારાસભ્ય અચેમ નાયડુ અને જેસી પ્રભાકર રેડ્ડીની ધરપકડ કરેલી છે અને  બંને પર અલગ-અલગ આરોપો છે. ચંદ્રાબાબુ શનિવારે પોતાના ધારાસભ્યોને મળવા જઈ રહ્યા હતા પરંતુ પ્રશાસને તેની મંજૂરી નહોતી આપી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.