ભરૂચ નજીક ખાનગી બસનો અકસ્માત, આગ લાગતા ત્રણ લોકો ભડથુ થયા

ભરૂચના લુવારા પાટીયા નજીક વહેલી સવારે હાઈ-વે રસ્તા પર બસ અકસ્માતની ઘટના બની હતી. ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતા બસમાં આગ લાગી હતી. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. ઘટનાને પગલે ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને બસમાં લાગેલી આગને કાબુમાં લેવાના પ્રયાસ કર્યા હતા. ફાયર બ્રિગેડ જ્યાં સુધીમાં ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી.

એક રિપોર્ટે અનુસાર અનુસાર પૂણેથી ગુજરાત ટ્રાવેલ્સની સ્લીપર કોચની બસ અમદાવાદ જઈ રહી હતી. જે સમયે બસ નબીપુરના લુવારા નજીક પહોંચી ત્યારે યુ-ટર્નમાં એક ટેન્કર ટર્ન લઇ રહ્યું હતું અને તે સમયે ટેન્કરની સાથે બસની ટક્કર થઇ હતી. આ ટક્કર થતાની સાથે બસમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે બસના ડ્રાઈવર અને કંડકટરે બસમાં રહેલા તમામ મુસાફરોને બહાર કાઢ્યા હતા. જો કે, બસમાં એટલી દોડા-દોડી મચી ગઈ હતી કે, કોઈને ખબર ન પડી કે, બસમાં કોઈ પેસેન્જર છે કે, નહીં. ધીમે ધીમે બસમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

બસમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયરની ગાડીઓ પણ ઘટના સ્થળ પર પહોચી હતી અને બસમાં લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. ફાયરના જવાનોએ ભારે જહેમદ બાદ બસમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આગ એટલી વિકરાળ હતી કે, બસ આગમાં બળીને ખાક થઇ ગઈ હતી. બસના અકસ્માત પછી બસમાં આગ લાગવાની ઘટનાના કારણે હાઈ-વે રસ્તા પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. જો કે, સ્થાનિક પોલીસે ટ્રાફિક નિયમન કરીને ટ્રાફિક હળવો કર્યો હતો. સમગ્ર મામલે નબીપુર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. બસમાંથી આગ ઓળાવ્યા પછી પોલીસે બસની અંદર ચેકિંગ કરતા બસની અંદરથી પહેલા બે મૃતદેહ મળ્યા હતા અને ત્યારબાદ વધુ એક મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. જેથી પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.