ભુજમાં અદ્ભુત શાસ્ત્રીય સંગીત કાર્યક્રમનું આયોજન, જાણીતા કલાકારોએ પોતાની કળાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા

ભુજના સ્મૃતિવન ખાતે એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય શાસ્ત્રીય સંગીત અને ચિત્રકલાના પ્રેમીઓ માટે અનોખો કાર્યક્રમ કહી શકાય છે. યુથ ઉપનિષદ દ્વારા આયોજિત ‘રંગ રાગ વંદના’ કાર્યક્રમમાં કચ્છના જાણીતા ચિત્રકાર નવીનભાઈ સોનીના ચિત્રો અને ગાયક કળાકારો દક્ષભાઈ છાયા અને કાજલબેન છાયા દ્વારા રાગોની ખૂબ અદ્ભુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

કચ્છ: જિલ્લામાં અને ખાસ કરીને ભુજમાં અવારનવાર ઉત્કૃષ્ટ કાર્યક્રમો યોજાતા જ હોય છે. અહીં કલાકારોની સાથે જનતા પણ કલાપ્રેમી છે. એ પછી નાટકો હોય, નૃત્ય હોય, ગીત સંગીતના કાર્યક્રમો હોય કે, પછી શાસ્ત્રીય સંગીત કલાપ્રેમીઓ તેની ખૂબ સરાહના કરે છે. એવો જ એક અદ્ભુત કાર્યક્રમ ભુજના સ્મૃતિવન ખાતે યોજાયો હતો, જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને ચિત્રકલાના પ્રેમીઓ માટે અનોખો કાર્યક્રમ કહી શકાય છે.

ભુજ સિવાય માંડવી, આદિપુર, ગાંધીધામથી પણ કલાપ્રેમીઓ કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા. યુથ ઉપનિષદ દ્વારા આયોજિત ‘રંગ રાગ વંદના’ કાર્યક્રમમાં કચ્છના જાણીતા ચિત્રકાર નવીનભાઈ સોનીના ચિત્રો અને ગાયક કળાકારો દક્ષભાઈ છાયા અને કાજલબેન છાયા દ્વારા રાગોની ખૂબ અદ્ભુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી

રંગ રાગ વંદના કાર્યક્રમ વિશે

ચિત્રકળા સાથે શાસ્ત્રીય સંગીતનો સમન્વયમાં એક જ સમયે 36 રાગોના ચિત્રોની સાથે એ 36 રાગોનું જીવંત શ્રવણ ખૂબ અદ્વિતીય અનુભવ છે. આ પ્રકારના કાર્યક્રમો કચ્છમાં જોવો એક લ્હાવો છે, એમ કહી શકાય. હનુમંત મત પ્રમાણે છ રાગ અને એ છ રાગની કુલ પાંચ પાંચ રાગિણીઓ એમ કુલ 36 રાગ ઉપર સંશોધન કર્યા પછી કચ્છના આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર ચિત્રકાર નવીનભાઈ સોનીએ 36 રાગના ચિત્રો બનાવ્યા છે.

આ બધા જ રાગોને આદિપુરના દક્ષભાઇ છાયા અને કાજલબેન છાયા દ્વારા ચિત્રોને વાચા અપાઈ અને રાગોની ઉત્કૃષ્ટ રજૂઆત કરવામાં આવી હતી. હાર્મોનિયમ પર સાથ આપનાર યશ ભાઈ અંતાણી તથા તબલાના તાન આપનાર સ્વરભાઈ માંકડ હતા.

શાસ્ત્રીય સંગીત દ્વારા રાગ અને ચિત્રો

ચિત્રકાર નવીનભાઈ સોની જણાવે છે કે, ચિત્રો દ્વારા રાગોની રજૂઆત જેવા કાર્યક્રમો કચ્છમાં આ એમનો ત્રીજો પ્રયાસ હતો, જે ખૂબ જ સફળ નીવડ્યો હતો. એક મનોરંજન કાર્યક્રમથી ખૂબ ઉપર કહી શકાય તેવી રજૂઆત હતી, જેનો લાભ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન તત્વમસિ ઇન્ટરનેશનલ અને યુથ ઉપનિષદના દિપક વાઘાણી દ્વારા કરાયું હતું. કચ્છ માટે એક યાદગાર દિવસ કહી શકાય તથા વિનામૂલ્યે આવો કાર્યક્રમ થવો ખૂબ મોટી વાત કહી શકાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.