બિહારમાં દારુબંધીના કાયદા પર ફરી વિચારણા કરાય, વધી રહ્યો છે ભ્રષ્ટાચારઃ ભાજપ સાંસદ

બિહારમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે ત્યારે ફરી મુખ્યમંત્રી પદ ગ્રહણ કરનારા નિતિશ કુમાર સમક્ષ ભાજપના સાંસદે એક અજીબો ગરીબ માંગણી કરી છે.

ભાજપના નેતા અને સાંસદ નિશિકાંત દુબેએ નિતિશકુમારને અપીલ કરી છે કે, બિહારમાં દારુબંધીના કાયદા પર ફરી વિચારણા કરવામાં આવે.કારણકે આ કાયદાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી રહ્યુ છે.

ઝારખંડના સાંસદ દુબેનુ કહેવુ છે કે, મારો મુખ્યમંત્રી નિતિશ કુમારને આગ્રહ છે કે, દારુબંધીના કાયદામાં તેઓ બદલાવ કરે.કારણકે જેમને પીવુ છે કે બીજા કોઈને દારુ પીવડાવવો છે તે નેપાળ, બંગાળ, ઝારખંડ, યુપી અને મધ્યપ્રદેશ જેવા પાડોશી રાજ્યોમાં જતા રહે છે.જેનાથી બિહારની આવકને નુકસાન થઈ રહ્યુ છે, બિહારનો હોટલ ઉદ્યોગ પ્રભાવિત થઈ રહ્યો છે અને પોલીસ ખાતામાં કરપ્શન વધી રહ્યુ છે.

જોકે નિતિશ કુમાર તેના પર વિચારણા કરશે કે કેમ તે શંકા છે.કારણકે બિહારમાં દારુબંધી નિતિશકુમારે લીધેલા સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો પૈકીનો એક છે.જેને મહિલાઓએ વધાવી લીધેલો છે.કદાચ એનડીએને મહિલાઓના મત વધારે મળ્યા તેની પાછળનુ એક કારણ આ પણ છે.

જોકે વિપક્ષે બિહારમાં દારુબંધી કાગળ પર છે તેમ કહીને અવાર નવાર નિતિશકુમારની ટીકા કરેલી છે.ચૂંટણી દરમિયાન પણ ખાસો એવો દારુ પકડાયો હતો.2016થી બિહારમાં દારુબંધી લાગુ થઈ છે અને તેના કારણે રાજ્યને 4000 કરોડની આવક પણ ગુમાવવી પડી છે.ચાર વર્ષમાં આ કાયદાને તોડવા બદલ 4 લાખ લોકો સામે ગુનો પણ નોંધાયો છે.

ચૂંટણી દરમિયાન સંખ્યાબંધ આરજેડી નેતાઓએ કહ્યુ હતુ કે, અમારી સરકાર સત્તા પર આવી તો દારુબંધી દુર કરવામાં આવશે અને જાણકારોનુ માનવુ છે કે, મહિલા વોટરો આ એલાનથી નારાજ થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.