લોકડાઉન દરમિયાન દુકાન અને માર્કેટ ખુલ્લા રાખવા કે નહીં તે અંગે જિલ્લાના અધિકારી નિર્ણય લેશે
બિહારની નીતિશ કુમારની સરકારે ફરી એક વખત રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. સરકારે વર્તમાન લોકડાઉનની અવધિ વધારીને તેને 16 ઓગષ્ટ સુધી લંબાવી દીધું છે. આ માટે બિહાર સરકારના ગૃહ વિભાગે એક સૂચના પણ બહાર પાડી છે. જાણવા મળ્યા મુજબ સરકારે લોકડાઉન દરમિયાન કેટલીક છૂટ આપી છે. તે અંતર્ગત ખાનગી કાર્યાલય અને કોમર્શિયલ જગ્યાઓ ખુલ્લી રહેશે.
લોકડાઉન દરમિયાન દુકાન અને માર્કેટ ખુલ્લા રાખવા કે નહીં તે અંગે જિલ્લાના અધિકારી નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે બિહારમાં 16મી જુલાઈથી જ લોકડાઉન લાગુ છે. સરકારે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
એક અહેવાલ પ્રમાણે બિહારમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણના 45,919 કેસ સામે આવી ચુક્યા છે. સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં 29,220 કોરોના સંક્રમિત લોકો સ્વસ્થ પણ થઈ ગયા છે. બિહાર રાજ્યમાં કોરોના સંક્રમિતોનો રિકવરી રેટ 67.03 ટકા છે.
અગાઉ મંગળવારે બિહાર સૂચના અને જનસંપર્ક વિભાગના સચિવ અનુપમ કુમારે લોકોને મુશ્કેલી ન પડે તે માટે હોસ્પિટલમાં વધુ સારા પ્રબંધન કરવા વહીવટી અધિકારીઓની ટીમ લગાવવામાં આવી હોવાની માહિતી આપી.
તેમણે જણાવ્યું કે, ‘ખાનગી હોસ્પિટલમાં બેડ મેનેજમેન્ટ માટે વહીવટી અધિકારીઓની પ્રતિનિયુક્તિ કરવામાં આવી છે. હોસ્પિટલમાં દાખલ કરવા માટે કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે ‘મે આઈ હેલ્પ યુ બુથ’ કે રિસેપ્શનની સુવિધા પ્રદાન કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.