ચિખોદરા સીમમાં લક્ઝરી બસને ઓવરટેક કરવા જતા અકસ્માત, સુરતના 3ના મોત

આણંદ પાસેના ચિખોદરા સીમ સ્થિત એક્સપ્રેસ વે પર સોમવારે મધરાત્રિના એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં 3 લોકોના મોત નીપજ્યા છે. અંબાજીથી પરત ફરી રહેલી બસ ચિખોદરા સીમ પાસે બગડી હતી. જેને કારણે કન્ડક્ટર, ડ્રાઈવર તેને રીપેર કરવા માટે નીચે ઉતર્યા હતા. એ સમયે કંટાળેલા કેટલાંક મુસાફરો પણ નીચે ઉતર્યા હતા. જોકે, એ જ સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા આઈશરના ચાલકે ઓવરટેક કરવા જતા સર્વિસ રોડ પર ઊભી રહેલી બસને ટક્કર મારી હતી. જેને કારણે બસ દસેક ફૂટ આગળ ધકેલાઈ હતી, જેમાં એ સમયે બસની હેડલાઈટના અજવાળે નાસતો કરી રહેલા ત્રણ જણાંને કચડી નાંખ્યા હતા. તેમને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાય તે પહેલાં જ ત્રણેયના મોત નીપજ્યા હતા. જ્યારે સાત જેટલા મુસાફરોને વધત્તા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચી હતી. આ બનાવ બાદ આઈશરનો ચાલક ફરાર થઈ ગયો હતો. આણંદ ગ્રામ્ય પોલીસે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બસનો બેલ્ટ તૂટી ગયો હોવાની જાણ કરતાં જ અમે નીચે ઉતર્યા હતા. થોડી વાર લાગે એમ હોય હેડલાઈટના અજવાળે બેસીને મારા ભાઈ સહિત કેટલાંક લોકો નાસતો કરી રહ્યા હતા. જ્યારે કેટલાંક બસની આસપાસ ઊભા હતા. મોટાભાગના મુસાફરો અંદર ઊંઘી રહ્યા હતા. એ સમયે હું પણ તેમની સાથે જ હતો. જોકે, હું ઊભો થઈને બસની અંદર ગયો અને અચાનક જ એક મિનિટની અંદર મેં ધડાકાભેર અવાજ સાંભળ્યો હતો. અમારી બસ આગળ જતાં જોઈ અને હું હાંફળો-ફાંફળો તુરંત જ નીચે ઉતર્યો હતો. એ સમયે મારા ભાઈ અજીત સહિત ઘણાંને ગંભીર રીતે ઈજા પામેલા જોયા હતા. મેં તુરંત જ પોલીસ સહિત એમ્બ્યુલન્સને જાણ કરી હતી

કરમસદની ખાનગી હોસ્પિટલમાં શિવ દરજી, ડેનીશભાઈ ઉત્તમભાઈ રબારી, અજયભાઈ ચંપકભાઈ પટેલ, રાજ હિતેશભાઈ પટેલ, દિપેશભાઈ રમણભાઈ પટેલ, સોહમ હિતેશભાઈ પટેલ, નવીનભાઈ બાલુભાઈ રબારીને વધત્તા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચતા દાખલ કરાયા હતા. જોકે, બાદમાં મંગળવારે સવારે જ તબિયતમાં સુધારો જણાતા તેમને રજા અપાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.