ચોરીની ફરિયાદ આપતી વખતે PM મોદીની ભત્રીજીએ પોતાની VIP ઓળખ જાહેર કરી ન હતી : દિલ્હી પોલીસ

નવી દિલ્હી : ગત અઠવાડિયે દેશની રાજધાની નવી દિલ્હીમાંથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજીનું પર્સ ચોરાયું હતું. આ મામલે દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, “પર્સ ચોરીની ફરિયાદ દાખલ કરતી વખતે પીએમની ભત્રીજીએ નરેન્દ્ર મોદી સાથેનું તેમનું કનેક્શન જાહેર કર્યું ન હતું.”

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે, ફરિયાદી મહિલાએ એવું જાહેર કર્યું ન હતું કે તેણી વીઆઈપી પરિવારમાંથી આવે છે. “તેણી અમારી પાસે એક સામાન્ય ફરિયાદીની માફક આવી હતી,” તેમ નોર્થ દિલ્હીના ડીસીપી મોનિકા ભારદ્વાજે જણાવ્યું હતું.

દમયંતી બેન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની દીકરી છે. ઉત્તર દિલ્હીના સિવિલ લાઇન વિસ્તારમાં બે લોકો તેમનું પર્સ ચોરીને ફરાર થઈ ગયા હતા. તેમના પર્સમાં રૂ. 56 હજાર રોકડ, બે મોબાઇલ ફોન તેમજ અમુક દસ્તાવેજો અને કિંમતી ચીજો હતી.

આ મામલે ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. બનાવ સ્થળ તેમજ તેની આસપાસના અસંખ્ય સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા બાદ પોલીસે બંને યુવકોની ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.