CM પદ માટે થઈ ગઈ છે સહમતિ, ઇન્દ્રનું સિંહાસન આપે તો પણ BJP મંજૂર નહીં- રાઉત

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનાં પ્રયત્નોની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “5 વર્ષ માટે શિવસેનાનો જ સીએમ રહેશે. તમામ દળો શિવસેનાનાં સીએમ માટે રાજી થઈ ગયા છે.” આ સાથે પૂર્વ ગઠબંધન સહયોગી ભારતીય જનતા પાર્ટીની સાથે સરકાર બનાવવાની વાત પર કહ્યું કે, “તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. જો બીજેપી ઇન્દ્રનું સિંહાસન આપે તો પણ અમને મંજૂર નહીં હોય.”

પત્રકારો સાથે વાતચીતમાં શિવસેનાનાં રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે, “બે દિવસમાં મુખ્યમંત્રીને લઇને નિર્ણય થઈ જશે.” તેમણે કહ્યું કે, “મહારાષ્ટ્રની જનતા અને શિવસૈનિક ઇચ્છે છે કે ઉદ્ધવ ઠાકરે રાજ્યનાં સીએમ બને.” બીજી તરફ એ પણ ચર્ચા ચાલી રહી છે કે જો ઉદ્ધવ ઠાકરે સીએમ પદનો સ્વીકાર નથી કરતા તો એનસીપી સંજય રાઉતનું નામ સીએમ પદ માટે આગળ વધારી શકે છે.

એનસીપી-કૉંગ્રેસ સાથે બેઠક બાદ થશે મોટી જાહેરાત

સંજય રાઉતે કહ્યું કે, “મહારાષ્ટ્રની નવી સરકારની રચના શિવસેનાનાં નેતૃત્વમાં થશે.” તો સરકાર ગઠનને લઇને દાવો રજૂ કરવાના પ્રશ્ન પર રાઉતે કહ્યું કે, “કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાનાં વરિષ્ઠ નેતાઓની બેઠક થવાની છે. આ બેઠક બાદ અમે નિર્ણય લઇશું કે સરકાર બનાવવા માટે રાજ્યપાલની સમક્ષ દાવો કરવો છે.” રાઉતે કહ્યું કે, “રાજ્યમાં જલદી સરકારની રચના થશે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.