કોંગ્રેસ નાગરિકતા બિલ પર જુઠ્ઠું બોલી પૂર્વોત્તરમાં આગ લગાવી રહ્યું છે: PM મોદી

નાગરિકતા સંશોધન બિલને લઇ પીએમ નરેન્દ્ર મોદીએ ફરી એકવખત કોંગ્રેસ સહિત આખા વિપક્ષ પર પ્રહાર કર્યા છે. ઝારખંડમાં આયોજીત એક ચૂંટણી રેલીમાં પીએમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસે હંમેશાથી શરણાર્થીઓનો ઉપયોગ કર્યો અને હવે તેઓ આ બિલને લઇ પૂર્વોત્તરમાં આગ લગાવી રહ્યા છે. પીએમે કહ્યું કે કોંગ્રેસ ભ્રમ ફેલાવી રહ્યું છે. પૂર્વોત્તરના લોકોને હું વિશ્વાસ અપાવું છું કે તેમણે કોઇના બહેકાવામાં આવવાની જરૂર નથી. અમે તેમની સંસ્કૃતિ, ભાષા, માન, સમ્માનને વધુ સમૃદ્ધ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

નાગરિક સંશોધન બિલના બહાને પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું કે કોંગ્રેસની નીતિ હંમેશા લૂંટો અને લટકાવોની રહી છે. તેમના નેતા દરેક ચૂંટણીની પહેલા નિવેદન આપતા રહે છે કે તેઓ બહારથી આવનારા શરણાર્થીઓને નાગરિકતા આપશે. પરંતુ શું થયું…હવે તેઓ ફરીથી પલટી ગયા. આખરે શોષિત લોકોને અધિકાર મળવો જોઇએ કે નહીં? પાડોશી દેશોમાં અલ્પસંખ્યકોની સાથે અત્યાચાર થયા…લાખો અલ્પસંખ્યક સદીઓ સુધી શોષિત રહ્યા છે. અમે માનવીય દ્રષ્ટિથી તેમને નાગરિકતા આપવા માંગીએ છીએ તો કોંગ્રેસને તેમાં પણ વિરોધ કરવો છે.

‘ભ્રમ ફેલાવી રહી છે કોંગ્રેસ’

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને તેમના સાથી પૂર્વોત્તરમાં આગ લગાવાની કોશિષ કરી રહ્યા છે. ત્યાં ભ્રમ ફેલાવી રહ્યા છે કે બાંગ્લાદેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવી જશે. જ્યારે આ કાયદો પહેલેથી જ ભારત આવી ચૂકેલા શરણાર્થીઓની નાગરિકતા માટે છે. 31મી ડિસેમ્બર 2014 સુધીમાં જે ભારત આવ્યા એ શરણાર્થીઓ માટે આ વ્યવસ્થા છે. એટલું જ નહીં પૂર્વોત્તરના લગભગ તમામ રાજ્ય આ કાયદાના દાયરામાંથી બહાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.