ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ઘર નથી સાચવી શકતા,રાજ્યના કોંગ્રેસના માળખાની શું હાલત થશે?

આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતાં કેતન બારોટે રાજીનામું આપવા પાછળ ભાજપની સારી ઓફર કારણભૂત માનવામાં આવે છે. વળી, શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્ય પદે તક નહીં મળતાં નારાજગી ઉકેલવામાં અમિત ચાવડા નિષ્ફળ રહ્યાં છે. આણંદ નગરપાલિકાના રાજકારણમાં છેલ્લાં ઘણાં વખતથી વિવાદ સર્જાયો છે. જેને પ્રદેશ પ્રમુખ અંકુશમાં લાવી શક્યા નથી. આણંદ કોંગ્રેસનું રાજકીય ભંગાણ થઈ રહ્યું છે. આણંદ મતવિસ્તારમાંથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસને બે પ્રદેશ અધ્યક્ષ મળ્યા છે તે જ વિસ્તારમાંથી પ્રદેશ અને જીલ્લા કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસથી છેડો ફાડી રહ્યાં છે.

થોડા સમય અગાઉ કેતન બારોટે કેટલાક પક્ષના લાગવગિયા હોદ્દેદારોની કાર્યપદ્વતિથી નારાજગી વ્યકત કરીને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આગ્રહને કારણે પુન: કોંગ્રેસમાં સક્રિય બન્યા હતા. હવે પુન: કોંગ્રેસનો છેડો ફાડવા સાથે ભાજપમાં જોડાવવાનું જાહેર કરી દેતા કોંગ્રેસના બની બેઠેલા નેતા ભરતસિંહ સોલંકી અને તેમના ભાઈ તથા પક્ષના પ્રમુખ અમિત ચાવડાના વિસ્તારમાં કોંગ્રેસને નીચા જોવા જેવું થયું છે.કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના વિસ્તારમાં કોંગ્રેસમાં કકળાટ અને કમઠાણ થયું છતાં તેને ઠારવા માટે કોઈ પ્રયાસ થયો નથી.
જુલાઈમાં પણ રાજીનામું આપ્યું હતું
15 જુલાઈ 2019માં પણ આણંદ નગરપાલિકાના કોંગ્રેસના યુવા કાઉન્સિલર કેતન બારોટે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ આણંદ નગરપાલિકા પક્ષના દંડક, આણંદ યુથ કોંગ્રેસ પ્રમુખ હતા. કોંગ્રેસના પ્રાથમિક સભાપદેથી રાજીનામું આપી દીધુ હતું. 28 જાન્યુઆરી 2019માં કેતન બારોટને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસમાં સંયુક્ત મંત્રી બનવવામાં આવ્યા હતા.

15 દિવસમાં કોંગ્રેસમાં બીજુ રાજીનામુ પડ્યું હતું.

સભ્યોના નામની પસંદગીમાં અમિત ચાવડાએ વિશ્વાસમાં નહીં લેતા અસંતોષની આગ ભભૂકી હતી. આણંદ નગરપાલિકાની શિક્ષણ સમિતિની બિનહરીફ ચૂંટણી બાદ આણંદ શહેર કોંગ્રેસમાં વિખવાદ થયા હતા. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતાં કેતન બારોટે આણંદ રાજીનામું આપતાં કાર્યકરો પોતાના નેતાની આવડત પર આંગળી ચીંધી હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બારોટને રાજીનામું પરત લેવા સમજાવવા સફળ થયા હતા.

47 રાજીનામાં આપવા તૈયાર હતા

કેતન બારોટના ઘરે અગાઉ જુલાઈમાં આણંદ શહેર અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી. અલ્પેશ પઢિયાર જૂથ તરફથી થઇ રહેલી સતત અવગણના સામે બાંયો ચઢાવવાનો ફેંસલો લેવાયો હતો. જેમાં 47 લડી લેવા તૈયાર થયા હતા. તેઓએ રાજીનામાં આપવાની તૈયારી બતાવી હતી. પહેલા કેતન બારોટે રાજીનામું આપ્યું હતું. જો અમિત ચાવડા આ પ્રશ્ન ન ઉકેલે તો ક્રમવાર રાજીનામાં આપશે તેવું નક્કી કરાયું હતું. પણ અમિત ચાવડાએ બધાને સમજાવી દીધા હતા. પણ અન્યાયની આગ તો નવેમ્બર 2019 સુધી ચાલુ રહી હતી.

પાલિકામાં ભાજપની બહુમતી

નગરપાલિકામાં ભાજપની સંપૂર્ણ બહુમતી હોવા સાથે માત્ર ત્રણ-ચાર અપક્ષો છે તે પણ ટેકો આપી રહ્યા છે ત્યારે પાલિકામાં ભાજપને કોઇના ટેકાની પણ જરૂર નથી. છતાં અહીં કોંગ્રેસનું પ્રભુત્વ તોડવા માટે ભાજપ પોતે કોંગ્રેસની તોડફોડ કરે છે.

કોંગ્રેસ પ્રમુખના વિસ્તારમાં જૂથવાદ

આણંદ નગરપાલિકાના વિપક્ષ નેતા અલ્પેશભાઈ પઢિયારના જૂથે પાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણીમાં કાઉન્સિલરો, કોંગ્રેસના આગેવાનો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કે કોઈને પણ વિશ્વાસમાં લીધા ન હતા. બિનહરીફ ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ત્રણ નામો સભ્ય તરીકે આપી દીધા હતા. જેમાં એક નામ અલ્પેશ પઢિયારનું પોતાનું હતું. કોઈને પણ જાણ કર્યા વિના થયેલી ત્રણ સભ્યોના નામની પસંદગી લીધે વિવાદ ઊભો થયો હતો. અલ્પેશ પઢિયાર જૂથ દ્વારા કેતન બારોટની ટીમની સતત અવગણના થઇ રહી હતી. આથી આ વિવાદના પગલે કેતન બારોટે કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો.

ધારાસભ્યની જૂથબંધી

આણંદના ધારાસભ્ય કાંતિ સોઢાએ જૂથબંધી કરી છે. તેના જૂથ દ્વારા એક જ જ્ઞાતિને મહત્વ અપાતું હોઇ કેટલાક કાઉન્સિલરો નારાજ રહેતાં આવ્યા છે. તે અંગે કોંગ્રેસના સોશિયલ મિડિયામાં આ બાબતે રીતસરનું યુદ્ધ છેડાયું હતું. આણંદના ધારાસભ્ય દ્વારા આ બાબતે જૂથવાદ ચલાવાતો હોવાના આક્ષેપો કેતન બારોટે કર્યા હતા. તેઓએ ફેસબુક મેસેન્જર દ્વારા મિત્રો સાથે સંવાદ કરતાં સ્પષ્ટતા પણ કરી હતી કે આવુ તો પરિવારમાં ચાલતું હોય છે. ત્યારથી જ કેટલાંક કાઉન્સિલરો ભાજપમાં જોડાવાની ગોઠવણ કરી રહ્યા હતા.


લોકસભાની ચૂંટણી પછી સ્થિતી વણસી

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખના વિસ્તારમાં યુવા કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામાં આપવાનું શરૂ કરી દીધું હતું. કોંગ્રેસના પાયાના કાર્યકર, લીગલ સેલના વકીલ મનોહરસિંહ પરમારે રાજીનામું આપ્યું હતું. 2 જૂલાઈ 2019માં આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મનોહરસિંહ પરમારે પક્ષમાં પોતાનું સ્વમાન ન જળવાતા, ઉપેક્ષા કરવામાં આવતાં અને આંતરીક નારાજગીના કારણે રાજીનામું આપ્યું હતું, 100 દિવસમાં નવી રાષ્ટ્રીય પાર્ટીનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી. વિદ્યાર્થી કાળથી આજ દિન સુધી કોંગ્રેસ પક્ષ માટે લોહી અને પરસેવો રેડનારા તેઓ હતા. 1998થી તેઓ કોંગ્રેસ અને સામાજ સેવી સંસ્થાઓ સાથે રહ્યાં હતા. પછી તેઓ 12 ઓક્ટોબર 2019માં ભાજપમાં જોડાઈ ગયા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ઘર આંગણે કોંગ્રેસમાં કંઈક ઠીકઠાક ન ચાલતું હોય તે બાબત હાલ સામે આવી રહી છે જેમાં આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિનુભાઇ ઠાકોર સામે સ્થાનિક સહકારી મંડળીમાં નાણાકીય ઉચાચત અને આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના નામે નાણાંની ગેરરીતિ લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે તેઓને સસ્પેન્ડ કર્યા છે જ્યારે તેઓ આણંદ જિલ્લાના કોંગ્રેસમાં રહીને ગુંગળામણ અનુભવતા હોવાનું કહીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે

સસ્પેન્ડ થયા અને ભાજપમાં જોડાયા

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિનુભાઇ ઠાકોરને 11 ઓકટોક્ટોબર 2019ના રોજ સસ્પેન્ડ કરી દીધા હતા. તેના પર આરોપ છે કે સ્થાનિક સહકારી મંડળીમાં નાણાકીય ઉચાપત અને આણંદ જિલ્લા કાંગ્રેસ સમિતિના નામે નાણાંની ગેરરીતિ કરી હોવાની ફરિયાદો પ્રદેશ પ્રમુખને મળી હતી. જેને લઇને તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા મધ્ય ગુજરાત ઠાકોર સમાજના આગેવાન વિનુ ઠાકોર ભાજપામાં જોડાયા હતા. તેમની સાથે આણંદ જીલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી તથા આણંદ જીલ્લા ક્ષત્રિય એકતા મંચના પ્રમુખ મનોહરસિંહ પરમાર સહિત આણંદ જીલ્લા કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકર્તાઓ ભાજપામાં જોડાયા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાંતિ સોઢાપરમાર ધારાસભ્ય બનતા ભરતસિંહ સોલંકીના ખાસ ગણાતા વિનુ એસ. ઠાકોરને જિલ્લા પ્રમુખપદ સોંપાયું હતું. ત્યારબાદ ગુજરાત પ્રદેશ પ્રમુખપદની આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને જવાબદારી સોંપવામાં આવી હતી. પછી વિનુ ઠાકોર ભાજપમાં જોડાઈ ગયા હતા.

ભરતસિંહ સોલંકી જવાબદાર
ભરત સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 25માં પ્રમુખ હતાં. 2004થી 2009 ગુજરાત રાજ્યના આણંદના સાંસદ રહ્યાં હતા. 2014માં ભાજપના દિલીપ પટેલ સામે ચૂંટણીમાં હારી ગયા હતા.તેમના પિતા માધવસિંહ સોલંકી રાજકારણમાં લાંબો સમજ રહ્યા હતા. જેમની ખામ નીતિના કારણે ગુજરાતમાં કોંગ્રેસ 26 વર્ષથી સત્તા સ્થાને નથી. માધવસિંહની ખામ નીતિ ભરત સોલંકી અને પછી તેમના ભાઈ અમિત ચાવડા અપનાવી રહ્યાં છે. એટલે હજુ બીજા 10 વર્ષ ભાજપ સત્તા સ્થાને ગુજરાતમાં રહેશે.કેન્દ્ર સરકારમાં ભરત સોલંકી પેયજળ, સેનિટેશન, ઊર્જા પ્રધાન રહી ચુક્યા છે. 2004થી2006 દરમિયાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી પણ રહી ચુક્યા છે.આણંદ પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક છે અને છેલ્લી 10 લોકસભા ચૂંટણીમાંથી 6 વાર આ બેઠક કોંગ્રેસે જીતી છે. ભાજપનો ગુજરાતમાં ઉદય 1989ની લોકસભા ચૂંટણીથી થયો. એ પછી ભાજપે આ બેઠક 4 વાર જીતી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.