કોરોનાઃ ભારતે ‘આયુષ’ દવાઓનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું, સ્વાસ્થ્ય મંત્રીએ ગણાવ્યું ‘ઐતિહાસિક’ પગલું

અશ્વગંધા, યષ્ટિમધુ, ગુરૂચ પિપ્પાલી, આયુષ-64 વગેરે દવાઓનું સ્વાસ્થ્યકર્મીઓ અને જોખમી ક્ષેત્રના લોકો પર ટ્રાય

દેશમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે સરકાર તેની સારવાર માટે આયુર્વેદિક દવાઓના ઉપયોગની સંભાવનાઓ તપાસી રહી છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આજથી અશ્વગંધા સહિતની અન્ય આયુષ દવાઓનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવશે જેથી તે કોરોના સંક્રમણ રોકવામાં કે તેની સારવારમાં કેટલી ઉપયોગી સાબિત થાય છે તે જાણી શકાય તેમ જણાવ્યું હતું.

ડો. હર્ષવર્ધનના કહેવા પ્રમાણે સ્વાસ્થ્યકર્મીઓ, સંક્રમીત દર્દીઓના સંપર્કમાં આવનારાઓ કે અન્ય કારણથી જેના પર સંક્રમણનું જોખમ સૌથી વધુ છે તેમના પર આ દવાઓનું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે. તેમણે આ પગલાને ઐતિહાસિક ગણાવીને CSIR, ICMRના તકનીકી સહયોગ વડે તેનું ટ્રાયલ કરવામાં આવશે અને આધુનિક પદ્ધતિ વડે આયુર્વેદિક દવાઓની શ્રેષ્ઠતા સાબિત કરવા પ્રયત્ન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

કોરોના વાયરસનું સંક્રમણ રોકવા કે તેની પ્રભાવી સારવાર માટે સ્વાસ્થ્યકર્મીઓ અને વધુ જોખમવાળા ક્ષેત્રોમાં કામ કરતા જે લોકો પર આયુષ દવાઓનું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે તેમાં અશ્વગંધા, યષ્ટિમધુ, ગુરૂચ પિપ્પાલી, આયુષ-64 જેવી દવાઓ સામેલ છે. સ્વાસ્થ્ય મંત્રીના કહેવા પ્રમાણે જે રીતે કોરોના વાયરસ સંક્રમણને લઈ સમગ્ર વિશ્વમાં યુદ્ધનો માહોલ છે ત્યારે ભારતમાં આ ઐતિહાસિક કામ શરૂ થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.