કોરોના કાળ વચ્ચે વૈષ્ણોદેવીની યાત્રા કરવા યાત્રાળુઓએ આ નિયમોનું કરવું પડશે ચુસ્ત પાલન

આજે 16 ઓગસ્ટથી જમ્મુમાં માતા વૈષ્ણો દેવીનો દરબાર ફરીથી ભક્તો માટે ખુલી ગયો. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરના તમામ ધાર્મિક સંસ્થાન આજથી ફરી ખુલ્લા મૂકવામાં આવ્યાં છે. કોરોના વાયરસ મહામારીના કારણે લગભગ 5 મહિના બંધ રહ્યાં બાદ આજથી માતા વૈષ્ણોદેવીની પવિત્ર યાત્રા ફરી શરૂ થઈ છે. માતા વૈષ્ણો દેવી તીર્થ યાત્રાને ગત 18 માર્ચથી બંધ કરી દેવાઈ હતી. પહેલા અઠવાડિયામાં 2 હજાર તીર્થયાત્રીઓ માતા વૈષ્ણોદેવીના દર્શન કરી શકશે. યાત્રામાં જમ્મુ કાશ્મીરના 1900 તથા અન્ય રાજ્યોના 100 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે જણાવ્યું છે કે, પ્રવાસની નોંધણી ઓનલાઈન કરાવવાની રહેશે. બીજા પ્રદેશો અને જમ્મુ કાશ્મીરના રેડ ઝોન જિલ્લાના લોકોએ કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે તો જ યાત્રા માટે આગળ વધવા દેવામાં આવશે. માતા વૈષ્ણૌ દેવી તીર્થ યાત્રા અગાઉ શ્રદ્ધાળુઓએ પોતાના મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટોલ કરવી જરૂરી છે. આ ઉપરાંત તીર્થયાત્રીઓ માટે માસ્ક અને ફેસ કવર પહેરવું અનિવાર્ય છે. તમામ શ્રદ્ધાળુઓનું મેડિકલ સ્ક્રિનીંગ કરવામાં આવશે.

માતા વૈષ્ણોદેવીની યાત્રાને સરળ બનાવવા માટે બેટરી વાહન, યાત્રી રોપવે તથા હેલિકોપ્ટર સેવા નિયમિત રીતે ચલાવવામાં આવશે. સંપૂર્ણ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે. ભીડથી બચવા માટે અપાતી વિશેષ પૂજામાં ભાગ લેવાની પરવાનગી પણ આપવામાં નહીં આવે. પ્રવાસમાં ઘોડા, પિઠ્ઠુ અને પાલકીને પરવાનગી આપવામાં નહીં આવે. 10 વર્ષથી ઓછી અને 60 વર્ષથી વધારે ઉંમરના લોકો, સગર્ભાઓ અને બીમાર લોકોને પ્રવાસની પરવાનગી અપાશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.