કોરોનાના કારણે અમેરિકામાં ભારતીયોનાં મોતનો આંકડો જાણીને ચોંકી જશો

કોરોના વાયરસે અમેરિકામાં સૌથી વધુ લોકોનો ભોગ લીધો છે. છેલ્લા ત્રણ દિવસથી દરરોજ અંદાજે બે હજારથી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. અમેરિકામાં રહેતા ભારતીય-અમેરિકનો અને ભારતીયો પણ આ વાયરસની ઝપેટમાં આઆવી ગયા છે. ભારતીય સમાજ સાથે સંકળાયેલા નેતાઓના જણાવ્યા પ્રમાણે, 40થી વધુ ભારતીય-અમેરિકન અને ભારતીય નાગરિકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 1500થી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ સમાચાર મળતાં જ પરિવારજનોમાં પણ ચિંતા ફેલાઈ ગઈ હતી.

અમેરિકામાં કોરોનાનું મુખ્ય કેન્દ્ર ન્યૂયોર્ક અને ન્યૂજર્સી છે. સૌથી વધુ મોત આ જગ્યાએ જ થયા છે. આ બંને જગ્યાઓ પર મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકનો રહે છે. ભારતીય મૂળના જે લોકોનાં મોત અહીં થયા છે તેમાં ઓછામાં ઓછા 17 કેરળના હતા. આ ઉપરાંત 10 ગુજરાત, 4 પંજાબ, 2 આંધ્ર પ્રદેશ અને એક ઓડિશાના હતા. તેમાંથી મોટાભાગનાની વય 60 વર્ષ કરતાં વધુ હતી. માત્ર એક જ દર્દી 21 વર્ષનો હતો.

ભારતીય સમાજના અગ્રણીઓ પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, ન્યૂજર્સીમાં એક ડઝનથી વધુ ભારતીય-અમેરિકનોએ જીવ ગુમાવ્યો છે. તેમાંથી મોટાભાગના ન્યૂજર્સીના લિટલ ઈન્ડિયા વિસ્તાર અને ઓક ટ્રી માર્ગ પાસે રહેતા હતા. એ જ રીતે 15 ભારતીય અમેરિકનોએ ન્યૂયોર્કમાં કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. 4 ભારતીય અમેરિકનના મોત પેન્સિલવેનિયા અને ફ્લોરિડામાં પણ થયા છે. ટેક્સાસ અને કેલિફોર્નિયામાં પણ એક-એક ભારતીય-અમેરિકનના મોત નિપજ્યાં છે.

ભારતીય સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, તેમના અંદાજ મુજબ 350થી વધુ ભારતીય અમેરિકન ન્યૂજર્સીમાં કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે અને 1000થી વધુ ન્યૂયોર્કમાં સંક્રમિત છે. ન્યૂયોર્કમાં અનેક ભારતીય અમેરિકન ટેક્સી ડ્રાઈવર્સ કોરોના સંક્રમિત હોવાનું જણાયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.