કોરોનાને પગલે 100 વર્ષની સૌથી ગંભીર મંદી જોવા મળશે : ઓઈસીડી

– 2020માં વૈશ્વિક અર્થતંત્રમાં 6 ટકાનો ઘટાડો થશે, સુધારો ધીમો અને અચોક્કસ : ઓઈસીડી

– જો ચાલુ વર્ષના અંતે કોરોના ફરીથી ઉથલો મારશે તો વૈશ્વિક અર્થતંત્રમાં 7.6 ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે

કોરોના વાઇરસને પગલે છેલ્લા ૧૦૦ વર્ષની સૌથી ગંભીર મંદી જોવા મળશે અને સંક્રમણના બીજા તબક્કાની શક્યતા ન હોવા છતાં પીડા હજુ દૂર થઇ નથી તેમ આંતરરાષ્ટ્રીય અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

લાખો લોકો પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે, આ કટોકટીની સૌથી વધુ અસર ગરીબો અને યુવાનોને થઇ છે. આ કટોકટીથી અસમાનતા વધશે તેમ ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ(ઓઇસીડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.  ઓઇસીડીના સેક્રેટરી જનરલ એન્જેલ ગુરીયાના જણાવ્યા અનુસાર ઓઇસીડીની રચના પછી આ વખતનું આઉટલુક સૌથી અચોક્કસ અને ડ્રામાટિક છે. જો કોરોના વાઇરસનો બીજો તબક્કો નહીં આવે તેમ માનીને ચાલીએ તો ચાલુ વર્ષે વૈશ્વિક અર્થતંત્રમાં ૬ ટકાનો ઘટાડો જોવા મળશે. જો કે આગામી વર્ષે ૨.૮ ટકાની વૃદ્ધિ જોવાી મળશે.

ઓઇસીડીના જણાવ્યા અનુસાર જો આ વર્ષના અંતે કોરોના વાઇરસ ફરીથી જોર પકડશે તો વૈશ્વિક અર્થતંત્રમાં ૭.૬ ટકાનો ઘટાડો જોવા મળશે. જો કે કોરોનાનો બીજો તબક્કો આવે કે ન આવે તેની અસર લાંબા ગાળા સુધી જોવા મળશે.

ઓઇસીડીના આ અહેવાલ પછી વૈશ્વિક શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ેએન્જેલ ગુરિયાના જણાવ્યા અનુસાર જ્યાં સુધી કોરોના અંકુશમાં આવશે નહીં ત્યાં સુધી અર્થતંત્રમાં રિકવરી જોવા મળશે નહીં.

જો કોરોનાનો બીજો તબક્કો જોવા મળશે તો ઓઇસીડીના અંદાજ મુજબ ૩૭ વિકસિત દેશોમાં સરેરાશ બેકારીનો દર બમણો થઇને ૧૦ ટકા થઇ જશે અને ૨૦૨૧માં ખૂબ જ ઓછી રિકવરી જોવા મળશે. જો ખૂબ આશાવાદી વલણ અપનાવીએ તો બેકારીનો દર ૯.૨ ટકા રહેશે. જો કે ગરીબ દેશોમાં આ આંકડો ખૂબ મોટોે હશે. એજન્સીએ વિશ્વની સરકારોને અપીલ કરી છે કે તે હેલ્થકેર સિસ્ટમ, મેડિકલ પુરવઠામાં સહકાર આપે તથા વેક્સિન અને સારવાર પાછળ ખર્ચ કરે અને અસમાનતા દૂર કરવાના પ્રયત્નો કરે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.