કોરોના સંકટ દરમિયાન મજુરોનાં પ્રશ્ને સોનિયાએ બોલાવી વિપક્ષી પાર્ટીઓની બેઠક

 કોરોના રોગચાળાના કારણે સર્જાયેલી  સ્થિતિ પર ચર્ચા કરવા માટે આગામી શુક્રવારે એટલે કે 22 મેએ દેશના તમામ એનડીએ વિરોધી પક્ષો પરસ્પર બેઠક કરવા જઈ રહ્યા છે.કોંગ્રેસ તરફથી બોલાવાયેલી આ મીટિંગ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા થશે, જેની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે.

સૂત્રો મુજબ, કોંગ્રેસ આ મીટિંગ માટે દેશના તમામ રાજકીય પક્ષોને સંદેશ મોકલ્યો છે. પાર્ટી તરફથી તેમાં એનડીએ વિરોધી બધા પક્ષોને બોલાવવાની કવાયત કરવામાં આવી છે. તેમાં 28 રાજકીય પક્ષો ભાગ લેવાના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

જણાવાઈ રહ્યું છે કે, મીટિંગના મુખ્ય એજન્ડામાં કોવિડ-19થી ઊભી થયેલી સ્થિતિનો સામનો કરવામાં સરકારની નિષ્ફળતા, પ્રવાસી મજૂરોની દુર્દશા અને તેમની સમસ્યાઓ અને સરકાર દ્વારા તેનું યોગ્ય નિરાકરણ ન કરી શકવું, મોદી સરકારના 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની હકીકત જેવા તમામ મુદ્દા સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રવાસી મજૂરોની સમસ્યાઓ, કોવિડ-19 બીમારીનો સામનો કરવાની સરકારની રણનીતિ અને આર્થિક પેકેજને લઈને સતત સરકાર પર નિશાન સાધતી રહી છે.

શુક્રવારે બપોરે 3 કલાકે બોલાવાયેલી આ મીટિંગ અંગે લેફ્ટના એક સીનિયર નેતાનું કહેવું હતું કે, તેમાં કોવિડ-19ને પગલે દેશમાં ઊભી થયેલી સ્થિતિને લઈને દેશની રાજકીય સ્થિતિ તેમજ ઈકોનોમીની સ્થિતિ સુધીની ચર્ચા થશે.

કહેવાઈ રહ્યું છે કે, તેમાં એનસીપી, ડીએમકે, આરજેડી, લેફ્ટ, શિવસેના, એસપી, બીએસપી, નેશનલ કોન્ફ્રન્સ, ટીડીપી, ટીએમસી, આઈયુએમએલ, લોકતાંત્રિક જનતા દળ, આરએલડી, આરએલએસપી જેવા પક્ષો ભાગ લે તેવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.