કોરોના યુગમાં બેંક કર્મચારીઓ માટે ખુશખબર: મળશે 15% પગાર વધારો

 

– 2017ના નવેમ્બરથી લાગુ પડાશે

 

કોરોના કાળમાં જ્યાં મોટા ભાગના નોકરિયાતોને પૂરતો પગાર મળતો નથી અને લોકો હાલાકી ભોગવી રહ્યાછે ત્યારે સરકારી બેંકોના કર્મચારીઓને પંદર ટકા પગાર વધારો આપવાનો નિર્ણય સરકારે લીધો હતો.

તેમને કામની ગુણવત્તાના આધારે પણ પ્રોત્સાહન (ઇન્સેન્ટિવ) ચૂકવવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે પંદર ટકા પગાર વધારો 2017ના નવેંબરથી લાગુ પાડવામાં આવશે. નવેંબર 2017થી આ વધારો લાગુ પાડવાનો બીજો અર્થ એ પણ છે કે દરેક બેંક કર્મચારીને તગડો એરિયર્સનો લાભ મળશે.

બેંક કર્મચારીઓના વિવિધ યુનિયનોની લાંબા સમયની માગણી હતી કે  બેંક કર્મચારીઓને પગાર વધારો ઘણા સમયથી મળ્યો નથી. આ અંગે સતત સરકાર સાથે વાટાઘાટો ચાલુ હતી. બુધવારે બેંક કર્મચારીઓનાં વિવિધ યુનિયન્સ અને ઇન્ડિયન બેંક્સ એસોસિયેશને 11મા તબક્કાની વાટાઘાટો પૂરી કરી હતી અને એક સમજૂતી હેઠળ બેંક કર્મચારીઓને પંદર ટકા પગાર વધારો આપવાનું નક્કી થયું હતું.

આ પગાર વધારો આપવાના કારણે કુલ7,988 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ બેંકો પર આવી પડશે. બ્લૂમબર્ગે જણાવ્યા મુજબ 2017ના માર્ચની 31મીથી એટલે કે 2017ના નવા નાણાંકીય વર્ષથી આ પગાર વધારો અમલી ગણાશે. છેલ્લે 2012માં બેંક કર્મચારીઓનો પગાર વધ્યો હતો. પાંચ વર્ષ પછી હવે 2017થી 2022 સુધીના પાંચ વર્ષ માટે આ પંદર ટકાના પગાર વધારાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેંક યુનિયન્સ દ્વારા 20 ટકાની માગણી કરવામાં આવી હતી જ્યારે ઇન્ડિયન બેંક્સ એસોસિયેશને સવા બાર ટકાની માગણી કરી હતી.

છેલ્લાં બે વર્ષથી બેંકોના સંચાલકો અને કર્મચારી સંઘો વચ્ચે સતત વાટાઘાટ થતી રહી હતી. અમારી માગણી નહીં સ્વીકારો તો અમારે નછૂટકે હડતાળનું શસ્ત્ર ઊગામવું પડશે એેવી ચેતવણી બેંક કર્મચારીઓનાં યુનિયનોએ આપી હતી. બંને પક્ષો એ મુદ્દે રાજી થયા હતા કે હવે સરકારી બેંકોમાં પણ કાર્યક્ષમતાના આધારે ઇન્સેન્ટિવ ચૂકવવાની વાત સ્વીકારાઇ હતી. જો કે દરેક બેંક પોતાના નફાના આધારે આ ચૂકવણી કરશે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.