દારૂના મહેફિલકાંડમાં 8 વર્ષ બાદ તમામ આરોપીઓ નિર્દોષ જાહેર, પૂર્વ ક્રિકેટરોથી લઇને ઉદ્યોગપતિઓ હતા કેસમાં સામેલ..

વર્ષ 2016 માં વડોદરાનાં અખંડ ફાર્મમાં ઉદ્યોગપતિની પૌત્રીનાં પ્રિ-વેડિંગ ફંક્શનમાં પોલીસે રેડ કરી દારૂની મહેફિલ માણતા લોકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જેનો ચૂકાદો આવતા કોર્ટે 8 વર્ષ બાદ તમામ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. આ સમગ્ર મામલે પોલીસની તપાસમાં ક્યાંય કચાશ રહી ગઈ હોવાનું લોકમુખે સાંભળવા મળ્યું હતું. ત્યારે આવો જાણીએ શું હતો સમગ્ર મામલો…..

વડોદરા શહેર નજીક આવેલ અખંડ ફાર્મમાં જાણીતા ઉદ્યોગપતિ પૌત્રીનું પ્રિ-વેડિંગ ફંક્શન ચાલી રહ્યું હતું. ત્યારે સ્વાભાવિક છે કે મોટો પ્રસંગ હોય ત્યારે બહામગામથી તેમજ વિદેશથી અનેક મહેમાનો પ્રસંગમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હોઈ આ પ્રિ-વેડીંગ ફંક્શનમાં મોટા ઉદ્યોગપતિઓ સહિત વિદેશી મહેમાનો, પૂર્વ ક્રિકેટરો સહિત અન્ય મોટી હસ્તીઓ આ ફંક્શનમાં હાજર રહ્યા હતા. ત્યારે ન જાણ્યું જાનકી નાથે શું થવાનું છે, એવું જ થયું. આ પ્રિ-વેડિંગ ફંક્શનમાં અચાનક જ પોલીસનો પહોંચી જતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.

શું હતો સમગ્ર મામલો

વડોદરાનાં બહુચર્ચિત અખંડ ફાર્મ હાઉસ કેસનો 8 વર્ષે ચૂકાદો આવવા પામ્યો છે. ટ્રાન્સફોર્મ કંપનીનાં માલિક જીતેન્દ્ર શાહની પૌત્રીનાં તા. 22 ડિસેમ્બર 2016 નાં રોજ અખંડ ફાર્મ હાઉસમાં લગ્ન પ્રસંગની પાર્ટી ચાલી રહી હતી. ત્યારે લગ્ન પ્રસંગની પાર્ટીમાં લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસ દ્વારા મહેફિલમાં દરોડો પાડી મોટા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વકીલો, ર્ડાક્ટરો સહિત કુલ 271 લોકોને ઝડપી પાડ્યા હતા. તેમજ આ પાર્ટીમાં કેટલીક મહિલાઓ પણ નશાની હાલતમાં ઝડપાઈ હતી. જે બાદ પોલીસ દ્વારા ઝડપાયેલા પુરૂષ તેમજ મહિલાઓને બ્લટ ટેસ્ટ માટે લઈ જવા આવ્યા હતા.

129 વ્યક્તિઓનાં બ્લડ સેમ્પલ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો

પોલીસ દ્વારા દારૂની મહેફિલ માણી રહેલ 271 લોકોને એસએસજી હોસ્પિટલ ખાતે ટેસ્ટ માટે લઈ જવાયા હતા. જ્યાં 271 લોકોમાંથી 87 મહિલાઓ તેમજ 83 પુરૂષો સહિત કુલ 180 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે 78 પુરૂષ તેમજ 50 સ્ત્રી મળી કુલ 129 વ્યક્તિઓનાં બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ એલસીબી દ્વારા તેઓની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતા કોર્ટે 8 વર્ષ બાદ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

યોગ્ય પુરાવા રજૂ ન થતા કોર્ટે 129 આરોપીઓને નિર્દોષ છોડ્યા

જાણવા મળતી માહિતી મુજબ રાજ્યનાં બહુચર્ચિત એવા અખંડ ફાર્મ હાઉસ કેસમાં પોલીસ દ્વારા તપાસમાં ઢીલાશ રાખી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં તમામ આરોપીઓનાં લોહીનાં સેમ્પલ ટેસ્ટ કરનાર એસએસજી હોસ્પિટલનાં તત્કાલીન ર્ડાક્ટર દ્વારા બેદરકારી દાખવી યોગ્ય પુરાવા રેકોર્ડ પર રજૂ ન થતા કોર્ટે 129 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

1.કોર્ટ દ્વારા ક્યાં ક્યાં મુદ્દાઓને ધ્યાને લઈ નિર્દોષ છોડવા હુકમ કર્યો

આ સમગ્ર મામલે કોર્ટે નોંધ્યું કે, કેસની સુનાવણી દરમ્યાન કુલ 42 સાક્ષી તમજ સાહેદોને કોર્ટે તપાસ્યા હતા. જેમાં પ્રથમ બે પંચ લાલજીભાઈ ભાઈલાલ ગોહિલ અને પ્રવીણભાઈ દલપતભાઈ ગોહિલે કોર્ટ સમક્ષ તૈયાર પંચનામામાં સહીઓ કરાવી હોવાનું જણાવ્યું હતું. તેમજ 30 પોલીસ કર્મીનાં નિવેદનમાં પણ વિશ્વસનીતયા ન હોવાનું કોર્ટે નોંધ્યું હતું.

2.લોહીના નમૂના યોગ્ય રીતે સીલ કર્યા ન હતા.

પોલીસ દ્વારા પકડાયેલા તમામ આરોપીઓને એસએસજી હોસ્પિટલ લઈ જઈ તેઓનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે બ્લડ કેમ્પલને એફએસએલમાં મોકલતી વખતે બ્લડ સેમ્પલને યોગ્ય રીતે સીલ પણ કરવામાં આવ્યા ન હોવાની બચાવ પક્ષનાં વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી. જેની કોર્ટે નોંધ લીધી હતી.

03.બચાવ પક્ષનાં વકીલ દ્વારા શું રજૂઆત કરી

બચાવ પક્ષનાં વકીલ દ્વારા કોર્ટમાં ધારદાર દલીલો કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા રેડ કર્યા બાદ જે કાર્યવાહી કરવાની હોય છે તે કાર્યવાહી કરી નથી જે દલીલને નામદાર કોર્ટ દ્વારા ધ્યાને લેવામાં આવી હતી.

04.કોર્ટે શું નોંધ્યું

તેમજ નામદાર કોર્ટ દ્વારા પોલીસ દ્વારા જે પુરાવા રજૂ કરાયા છે. તેમાં પકડાયેલા લોકોની શારીરિક સ્થિતિનું વર્ણન કરાયું નથી.

05.બચાવ પક્ષનાં વકીલે શું દલીલ કરી

તેમજ બચાવ પક્ષનાં વકીલ દ્વારા દલીલ કરાઈ હતી કે, લગ્નનાં એક દિવસ પહેલા પ્રિ-વેડીંગ ફંક્શનની પાર્ટી હતી. જેમાં ફોટોગ્રાફર તેમજ વિડીયોગ્રાફર પણ હાજર હતા. ત્યારે પોલીસ દ્વારા તેઓ પાસેથી ફોટા કે વીડિયો કેમ પુરાવા તરીકે મેળવવામાં આવ્યા ન હતા.

ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવાશેઃ રોહન આનંદ (જીલ્લા પોલીસ વડા)

આ સમગ્ર મામલે જીલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, અખંડ ફાર્મ હાઉસ મહેફિલ મામલે અદાલતમાંથી ચુકાદો મેળવ્યા બાદ અને તેનો અભ્યાસ કરીશું. જે બાદ કાયદાકીય સલાહ લીધા બાદ ઉપલી કોર્ટમાં અપીલ કરવી કે નહી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.