દિલ્હીમાં ભાજપની પલટબાજી? અમિત શાહના દાવા પાછળ આ છે રહસ્ય

ભારતમાં ચૂંટણીના ચાણક્ય તરીકે ઓળખાતા કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે દાવો કર્યો છે કે, દિલ્હીમાં ભાજપ 70માંથી 45 બેઠકો જીતી સરકાર રચશે. આ અગાઉ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહી ચુક્યા છે કે, દિલ્હીમાં ચૂંટણીની હવા ભાજપ તરફી છે અને કેટલાક નેતાઓના ચહેરા તો અત્યારથી જ ઉતરી ગયા છે. આખરે દેશના બે દિગ્ગજ રાજકીય ચહેરાઓ કેમ આવા દાવા કરી રહ્યાં છે. એ પણ ત્યારે જ્યારે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની છબી કામ કરનાર હોવા છતાં પણ મોદી-શાહને કેમ લાગી રહ્યું છે કે,દિલ્હીની જનતા કેજરીવાલને વધુ એક તક નહીં આપે?

આ દાવા પાછળ ખુદ મોદી-શાહની સાથો સાથ પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓની રેલીઓમાં ઉમટી રહેલી ભીડ, પાર્ટીના આંતરીએક સર્વેમાં કથિત સામે આવેલો જનતાનો બદલાયેલો મિજાજ અની કેટલાક ઓપિનિયન પોલના પરિણામ છે. ભાજપના નેતાઓનું માનવુ છે કે, ગૃહમંત્રી અમિત શાહ અને ત્યાર બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની રેલીઓએ દિલ્હીના ચૂંટણી વાતાવરણને બદલવાનું કામ કર્યું છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઓ બાદ માહોલ ભાજપની તરફેણમાં દેખાઈ રહ્યો છે.

ભાજપના સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુંસાર મોદીની રેલી પહેલા જેટલા પણ સર્વે કરાવવામાં આવ્યા હતાં, તેમાં ભાજપ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ટક્કર આપતી નજરે પડી રહી હતીએ પણ પરિણામો આમ આદમી પાર્ટીના જ પક્ષમાં જતા નજરે પડી રહ્યાં હતાં. જોકે ત્યાર બાદ યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદીની રેલીઓથી આ મુકાબલો બરાબરીનો થઈ ગયો અને હવે પરિણામો ભાજપ તરફ ઝુકતા નજરે પડી રહ્યાં છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ સર્વેમાં ઘણી બેઠકો પર તો કોંગ્રેસ પણ બાજી મારતી દર્શાવવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.