દિલ્હીમાં કોરોનાની સ્થિતિમાં સુધારો, કોવિડ-19ના કેસ અંદાજા કરતા ઓછાઃ કેજરીવાલ

દિલ્હીમાં પહેલા 100થી વધારે મોત થતા હતા આજે આંકડો ઘટીને 30-35એ પહોંચ્યો, ટેસ્ટિંગ વધ્યું અને અડધા કલાકમાં એમ્બ્યુલન્સ પહોંચતી થઈ

 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે દિલ્હીમાં કોરોનાના કેસની સ્થિતિ સુધરી હોવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, રાજધાનીમાં કોવિડ-19ના કેસ અંદાજા કરતા ઓછા છે અને હોસ્પિટલની સ્થિતિ સુધરી રહી છે. બધા લોકોના સહયોગથી કોરોનાનો મુકાબલો સંભવ થયો છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે આપણે આત્મસંતુષ્ટ નથી થવાનું અને તૈયારીઓ ચાલુ રાખવાની છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલે જણાવ્યું કે, ‘કેન્દ્ર સરકારની જે ફોર્મ્યુલા હતી, આજે 15 જુલાઈ સુધીમાં દિલ્હીમાં કોરોનાના સવા બે લાખ કેસ હશે તેમ તેના બદલે હકીકતમાં આજે અડધા કેસ જ છે. આજે દિલ્હીમાં કોરોનાના 1.15 લાખ કેસ છે. આ દિલ્હીની જનતા, દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારની સજાગતાથી સંભવ બન્યું છે. સ્થિતિ ખૂબ જ નિયંત્રણમાં છે પણ કોરોના કોઈ પણ સમયે વધી શકે છે. તૈયારીઓ ચાલુ જ રાખવાની છે. હું આ મહેનત માટે તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું.’

કેજરીવાલે જણાવ્યું કે, ‘કેન્દ્ર સરકારે અમારી મદદ કરી. દિલ્હીમાં સૌથી પહેલા એન્ટીજન ટેસ્ટ થયા. ત્યાર બાદ સૌથી મહત્વની વાત છે હોમ આઈસોલેશન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હી મોડલની પ્રશંસા કરી છે.’

મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે, ‘પહેલી જૂનના રોજ દિલ્હીમાં 4,100 બેડ હતા. આજે 15,000 બેડ છે. દિલ્હીમાં પ્રથમ વખત પ્લાઝમા થેરાપી શરૂ કરાઈ. પ્લાઝમા વડે દરેક લોકોનો જીવ તો નથી બચતો પરંતુ અનેક લોકોનો જીવ બચે છે. દિલ્હીમાં મૃતકઆંક ખૂબ ઓછો થઈ ગયો છે. પહેલા 100થી વધારે મૃત્યુ થતા હતા. આજે 30-35 મૃત્યુ થઈ રહ્યા છે અને તેને પણ ઘટાડવામાં આવશે. અમે ટેસ્ટિંગ વધારી દીધું છે અને હવે અડધા કલાકમાં જ એમ્બ્યુલન્સ પહોંચી જાય છે.’

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.