દેશમાં કોરોનાનો તરખાટ : 24 કલાકમાં સૌથી વધુ 32672 કેસ, વધુ 603ના મૃત્યુ

– ભારતમાં કોરોનાના કુલ કેસ 9.63 લાખ, કુલ મૃત્યુ 24863

– દેશમાં વધુ 21415 સહિત કુલ 6.10 લાખ લોકોને સાજા થયા

ભારતમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. વાઇરસ ફેલાવાનું શરૂ થયું ત્યારથી લઇને અત્યાર સુધીમાં પહેલી વખત એક જ દિવસમાં સૌથી વધુ ૩૨ હજાર નવા કેસો સામે આવ્યા છે. જ્યારે સામેપક્ષે એક જ દિવસમાં ૬૦૩ લોકોએ જીવ ગૂમાવ્યો છે. બીજી તરફ કોરોનાના કુલ કેસોની સંખ્યા ૯,૬૩,૭૭૩ને પાર પહોંચી ગઇ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૨૪,૮૬૩ સુધી પહોંચી ગયો છે જે આશરે ૨૫ હજારને નજીક છે અને કુલ કેસોની સંખ્યા ૧૦ લાખને નજીક છે.

બીજી તરફ ૬,૧૦,૪૩૦ લોકોને સાજા પણ કરી લેવામાં આવ્યા છે, રાજ્યો પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨૭૫૬૪૦ પર પહોંચી ગઇ છે. જ્યારે તામિલનાડુમાં આ આંકડો ૧૫૧૮૨૦ ઉપર પહોંચી ગયો છે. તેવી જ રીતે દિલ્હીમાં પણ કુલ કેસોની સંખ્યા ૧૧૬૯૯૩ છે.

ગુજરાતમાં પણ કોરોનાના કુલ કેસો ૪૪૬૪૮ સુધી પહોંચી ગયા છે જે ૫૦ હજારની નજીક છે. છેલ્લા ૨૪ કલાકમાં જ કોરોનાના વધુ ૩૨૬૭૨ કેસો સામે આવ્યા છે અને કુલ આંકડો ૯,૬૩,૭૭૩ પર પહોંચી ગયો છે. જ્યારે ૨૧૪૧૫ લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે, આ જ સમયગાળા દરમિયાન ૬૦૩ લોકોએ જીવ ગૂમાવ્યો છે.

દેશમાં મોડા મોડા ટેસ્ટની ગતી વધારવામાં આવી છે જેને પગલે પણ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું હતું કે મંગળવારે ૩.૨ લાખથી વધુ સેંપલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે અત્યાર સુધીમાં ૧૪મી જુલાઇ સુધી કુલ ૧,૨૪,૧૨,૬૬૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં પ્રતિ દસ લાખની વસતીએ ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાના ટેસ્ટની સંખ્યા રેકોર્ડબ્રેક ત્રણ લાખ ઉપર નોંધાઇ છે.

જ્યારે ૨૫મી મેએ ટેસ્ટિંગ કેપેસિટી ૧.૫ લાખ હતી તે હવે વધીને પ્રતિ દિવસ ચાર લાખ સુધી પહોંચી ગઇ છે. બીજી તરફ એક જ દિવસમાં સૌથી વધુ કેસો બાબતે ભારતે બ્રાઝિલને પાછળ રાખી દીધુ છે. બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોનાના નવા કેસોની સંખ્યા માત્ર સાત હજાર હતી જ્યારે ભારતમાં તે સંખ્યા ૨૯ હજારની આસપાસ નોંધાઇ છે. એટલે એક જ દિવસમાં સૌથી વધુ કેસો મામલે અમેરિકા બાદ ભારત બીજા ક્રમ ેપહોંચી ગયું છે.

ભારતે સૌથી સસ્તી ટેસ્ટિંગ કિટ તૈયાર કરી

ભારતમાં કોરોનાની સારવાર અને તપાસને લઇને એક સફળતા મળી છે. આઇઆઇટી દિલ્હી દ્વારા કોરોનાની ટેસ્ટિંગ માટેની સૌથી સસ્તી કિટ લોંચ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.  એચઆરડી મિનિસ્ટર રમેશ પોખરિયાલે આ કિટને લોંચ કરી હતી, જેને કોરોસ્યૂર નામ આપવામાં આવ્યું છે અને તે વિશ્વની સૌથી સસ્તી કોરોના ટેસ્ટિંગ કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ કિટની શોધ બાદ ભારતમાં કોરોનાના ટેસ્ટિંગનું પ્રમાણ ઝડપથી વધી જશે અને તેનાથી કોરોના આગળ ફેલાતો અટકાવવામાં પણ મદદ મળશે તેવો દાવો નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જોકે અન્ય દેશો દ્વારા પણ પોત પોતાની રીતે કોરોના ટેસ્ટિંગ કિટ વિકસાવવામાં આવી રહી છે પણ તેની સરખામણીએ આ કિટ વધુ સસ્તી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.