વેકિસન લેનાર 85% લોકોનું કોરોના કંઈ ન બગાડી શકયો – સવેઁ

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની બાયો સેફટી લેબ દ્વારા હાથ ધરાયેલ સર્વેનું રસપ્રદ તારણ સામે આવ્યું છે. આ તારણમાં રસી કોરોના સામે રામબાણ ઈલાજ તરીકે સાબિત થઈ છે. કારણ કે, આ સર્વે અંતર્ગત વેકસીન લેનાર 86.6% લોકોનું કોરોના કંઈ ન બગાડી શક્યો એટલે કે સંક્રમીત થવા છતાં 86.6% લોકોએ વેક્સિન મેળવેલ હોવાથી તેઓને સામાન્ય લક્ષણો જોવા મળ્યા. આ ઉપરાંત 1 સપ્તાહથી પણ ઓછા સમયમાં તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં. જેથી કરીને વધુમાં વધુ લોકોએ સત્વરે વેક્સિન લેવાની અપીલ GTU કરી રહ્યું છે.

સમગ્ર વિશ્વ છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી કોવિડ-19ની મહામારીને કારણે અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગત ફેબ્રુઆરી માસમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (જીટીયુ) બોયો સેફ્ટી લેબોરેટરીઝને કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (RTPCR) ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.‌ જીટીયુ દ્વારા તારીખ 15 ફેબ્રુઆરીથી લઈને 15 મે સુધીના 3 મહિનાના સમયગાળામાં કુલ 2368 RTPCR ટેસ્ટનું યોગ્ય નિદાન કરેલ છે. જેમાં 1409 પુરુષ 959 સ્ત્રીઓ હતી. જેમાંથી 1127 રિપોર્ટ પોઝેટિવ આવ્યાં હતાં.

જીટીયુની‌ બાયોસેફ્ટી લેબ દ્વારા છેલ્લા 3 મહિનાના ડેટા આધારિત સર્વે કરવામાં આવ્યો છે. જેમાં વય, બ્લડ ગ્રુપ , રિકવરી રેટનો સ્ત્રી અને પુરુષમાં પ્રમાણ‌ તેમજ વેક્સિન મેળવેલ છે કે નહીં, જેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સર્વે કરવામાં આવ્યો છે.જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું કે, સંક્રમિત થયેલા 86.6% લોકોએ વેક્સિન મેળવેલ હોવાથી તેઓને સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતાં. આ ઉપરાંત 1 સપ્તાહથી પણ ઓછા સમયમાં તેઓ નેગેટિવ આવ્યા હતાં. જેથી કરીને વધુમાં વધુ લોકોએ સત્વરે વેક્સિન લેવી‌ જોઈએ.

મહત્વપૂર્ણ વાત એ સામે‌ આવી છે ‌કે, 94.74% લોકો હોમ આઈશોલેશનથી જ આ બીમારીને દૂર કરીને સ્વસ્થ થયાં છે. સૌથી વધુ પોઝિટિવ કેસ 21થી 40 વયજૂથમાં 44.99% જોવા મળ્યાં હતાં. જ્યારે 41થી 60 વયજૂથમાં 31.14% સંક્રમણનું પ્રમાણ‌ જોવા મળતાં દર્શાવે છે કે, કોરોનાની 2જી વેવમાં યુવાનો વધુ પ્રમાણમાં આ બિમારીમાં સપડાયાં છે.

0 થી 10 , 11થી 20, વયજૂથમાં જોવા જઈએ તો, અનુક્રમે 2.31%, 10.65% અને 60થી વધુના વય જૂથમાં 10.91% પોઝેટિવ આવ્યાં હતાં. ‌ 20 માર્ચ પછી અનુક્રમે પોઝેટિવ કેસના દરમાં સતત વધારો થતો જોવા મળ્યો હતો. એપ્રિલના પ્રથમ 2 સપ્તાહ પછી 60%થી પણ‌ વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. જે તાજેતરમાં 10% જેટલે પહોંચી ગયો છે. એટલે કે, 50% જેટલો ઘટાડો નોંધાયો છે. મૃત્યુદર પણ 0.71% રહ્યો છે. કુલ પોઝિટિવ ટેસ્ટમાંથી 8 દર્દીના મૃત્યુ થયેલ છે. જ્યારે બાકીના 99.29% દર્દીઓએ આ મહામારીને માત આપી છે.5.26% લોકોને વધુ અસરને ધ્યાનમાં રાખીને દવાખાને દાખલ થવાની ફરજ પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.