ગુજરાતમાં AAPને જીત ન મળે તો પણ કેજરીવાલ માટે ગુડ ન્યૂઝ, દેશભરમાં આ રીતે વધશે તેમનો દબદબો

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભાની બે તબક્કાનું મતદાન યોજાયું છે. જેનું 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. ત્યારે આ વખતે Exit Pollમાં ફરીવાર ગુજરાતમાં મોદી લહેર ચાલશે તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે અને ગુજરાતમાં સતત સાતમી વાર મોદી મેજિકનો કમાલ થશે તેવું એક્ઝિટ પોલના આંકડા મારફતે જાણવા મળે છે. પરંતુ બીજી બાજુ જો ગુજરાતમાં AAPને જીત નહીં મળે છતાંય AAPને ગુજરાતમાં વિશેષ ફાયદો થશે તેવું લાગી રહ્યું છે.

ગુજરાતમાં ભલે આમ આદમી પાર્ટી કદાચ પ્રચંડ જીત ના મેળવી શકે પરંતુ એટલું તો ચોક્કસથી કહી શકાય કે હવે અરવિંદ કેજરીવાલની AAP પાર્ટી ધીરે-ધીરે રાષ્ટ્રીય પાર્ટી બની રહી છે. કારણ કે ચૂંટણી પંચના અનુસાર, જે પાર્ટીને ઓછામાં ઓછાં ચાર રાજ્યોની વિધાનસભા કે લોકસભા ચૂંટણીમાં 6% કરતા જો વધારે વોટ મળે છે અને આ રાજ્યોમાં જો તે પાર્ટી ચાર લોકસભા સીટ જીતવામાં સફળ રહે તો આવી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી માનવામાં આવે છે.

તમને જણાવી દઇએ કે, હાલમાં દેશમાં માત્ર 2 રાજ્યો એવાં છે કે, જ્યાં આમ આદમી પાર્ટી પાસે 6% કરતા વધારે વોટ છે અને જેમાં દિલ્હીમાં તેઓની પાસે વોટની ટકાવારી છે 53% અને પંજાબમાં તેઓની પાસે છે 42% અને જો ગુજરાતમાં જો AAPને 20 % વોટ મળી જશે તો ત્રણ રાજ્યો એવાં હશે કે જેમાં તેમની પાસે 6% કરતા જો વધારે વોટ હશે. આ સાથે ઉત્તરાખંડમાં AAP પાસે 3.5% વોટ છે. જો આગામી ચૂંટણીમાં આ ટકાવારી વધીને 6.5% થઇ જશે તો અરવિંદ કેજરીવાલની પાર્ટી ક્ષેત્રીય પાર્ટીથી પણ આગળ એક મોટી રાષ્ટ્રીય પાર્ટી બની જશે અને આથી આગામી પાંચ વર્ષમાં સમગ્ર દેશની રાજનીતિ પણ બદલાઇ જશે. આથી એમ કહી શકાય કે હાલમાં દરેક પાર્ટી માટે ખુશ થવાના અન્ય કેટલાંક કારણ પણ જવાબદાર છે અને નિરાશ થવા માટે પણ દરેક રાજકીય પક્ષો પાસે કેટલાંક ચોક્કસ કારણ જવાબદાર છે. Exit Pollના આંકડા અનુસાર ગુજરાતમાં AAP થોડીક સીટો જીતી જાય તો નવાઇ નહીં અને બીજી બાજુ MCD ચૂંટણી પણ AAP સરળતાથી જીતી થશે તેવું સર્વેમાં દેખાઇ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.