સુરતમાં વધતી જતી ક્રાઈમની ઘટનાને લઇને સુરતના પોલીસ કમિશર અજય તોમર દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવામાં આવ્યું હતું. તેમને મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કામરેજ સુરત રૂરલ વિસ્તારમાં જે ઘટના બની છે અને તે ઘટનાની ગૃહમંત્રીએ ગંભીર નોંધ લીધી છે. તેમને પીડિત પરિવારની મુલાકાત પણ લીધી હતી. આ ઉપરાંત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ પ્રવૃત્તિ ફળેફૂલે નહીં એટલા માટે ત્વરીક પગલાં લેવાની સુચનાઓ આપી છે અને આ બાબતે જે આગેવાનો મને મળવા માટે આવ્યા હતા તે સુરત રૂરલના બનાવ બાબતે ચિંતા વ્યક્ત કરતા હતા. તેઓ ચર્ચા પણ કરીને ગયા છે કે નાની ઉંમરના છોકરાઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં કેમ આવી રહ્યા છે. આ લોકોએ એવી પણ રજૂઆત કરી છે કે, સુરત પોલીસ દ્વારા બે ત્રણ વર્ષ પહેલા નો-ડ્રગ્સ ઇન સુરત સીટી ચલાવવામાં આવી રહ્યું છે અને તેને ફરીથી એક વખત આખા સમાજને સાથે જોડીને આ કામ આગળ વધારવાની જરૂરી છે.
તેમને એમ પણ જણાવ્યું હતું કે, અત્યારે છોકરા કે છોકરીઓ પાસે મોબાઈલ છે. આમ તેઓ અલગ-અલગ માધ્યમો સાથે જોડાયેલા હોય છે. આમાં પોર્નોગ્રાફી સહિતના મટીરિયલ મોબાઈલ પર ઉપલબ્ધ હોય છે. જેના લીધે આ લોકો રચનાત્મક પ્રવુતિઓ કરતા કરતા આ પ્રકારની અનિચ્છનીય અને ગુનાહિત પ્રવૃત્તિઓ સુધી દોરાઈ જાય છે. આગેવાનો સાથે મારી ચર્ચા થઇ. કપલ બોક્સ જે ધ્યાન પર આવે છે તેના પર છેલ્લા એક મહિનાથી પોલીસ કામગીરી કરી રહી છે. કેટલાક સ્પા પર પણ રેડ કરવામાં આવી છે. તેમાંથી અસામાજિક તત્ત્વોની અટકાયત પણ કરવામાં આવી છે અને આ ઉપરાંત પાન સિગરેટના ગલ્લા પર નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તો તેની તપાસ પોલીસ કરશે અને આગેવાનો પણ મેં અપીલ કરી છે કે, કોઈ પણ જગ્યા પર કે લારી ગલ્લા પર નાર્કોટીક્સ કે પછી કોઈ પણ પ્રકારના ડ્રગ્સનું વેચાણ થતું હોય તો આના માટે આપણે દૃઢ નિશ્ચય સાથે સંકલ્પબદ્ધ છીએ. આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિઓ સુરતમાં ચાલવા દેવામાં આવશે નહીં.
તેમને એવું પણ જણાવ્યું હતું કે, ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં 12 મર્ડરની ઘટના બની હતી. પણ તેની સામે આ વર્ષે જાન્યુઆરી 2 મર્ડરની ઘટના બની છે. આમાં ક્યારેય ક્યારેય બદલાવ આવી શકે છે. છેલ્લા 14 દિવસમાં 7 બનાવ અમારા ધ્યાન પર આવ્યા છે. આમાં કેટલાક બનાવને સ્થાનિક તંત્ર સાથે કોઈ નિસ્બત નથી તેમજ કોઈ ઘટના પતિ-પત્નીના ઝઘડામાં બની છે. તો કોઈ ઘટના પરિવારમાં મિલકતના વિવાદને લઇને થતી છે અને આ ઉપરાંત એક લીફ્ટમાં બોલાચાલી અને ધક્કા મુક્કી દરમિયાન એક વ્યક્તિનું મર્ડર થયું છે. આ તમામ ઘટનાની અમે ગંભીરતાથી નોંધ લઇએ છીએ અને અસામાજિક તત્ત્વોને કોઈ પ્રોત્સાહન ન મળે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સાંજે 6થી 8 વાગ્યા સુધી તમામ અધિકારીઓ જુદા-જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે.
તેમને એમ પણ જણાવ્યું હતું કે, રાત્રે 8:30થી 10:30 વાગ્યા સુધીમાં પોલીસ દરેક શંકાસ્પદ વિસ્તારને ચેકિંગ કરશે, કોઈ શંકાસ્પદની પણ તપાસ કરશે અને વચ્ચે-વચ્ચે નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ પણ કરશે. તેની સાથે-સાથે કોઈ પણ નાગરિકને કોઈ રજૂઆત હોય તો તેના માટે પોલીસ સ્ટેશનમાં PIને મળવા માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે. સવારે 11થી 12 વાગ્યા સુધી PI અરજદારોને મળવા માટે પોલીસ સ્ટેશનમાં હાજર રહેશે અને કોઈ પણ કારણોસર PIને બહાર જવું પડે તો PIની ગેરહાજરીમાં તેના પછીના સિનિયર અધિકારી આ કામગીરી જોશે અને આ ઉપરાંત સાંજે 5થી 6 વાગ્યા સુધી PI ફરીથી પોલીસ સ્ટેશનમાં હાજર રહેશે. અસામાજિક પ્રવૃત્તિઓની વિરુદ્ધમાં જે પછી ડ્રગ્સ કે પછી દારુની બાબતમાં સ્થાનિક PI, ACB સહિતના અધિકારી ફિલ્ડમાં ઉતરશે અને કોઈ પણ વિસ્તારમાં આ પ્રવૃત્તિ અમારા ધ્યાન પર આવશે તો તેમાં કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.