આ મંદિર ફરી વિવાદમાં સપડાયું,આચાયઁ પક્ષનાં પાષૅદો અને દેવ પક્ષના સંતો બાખડતાં, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન..

ગઢડા શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ ગણાતું ગોપીનાથજી મંદિર આવેલું છે. પરંતુ ગોપીનાથજી મંદિરની ટેમ્પલ બોર્ડની ચૂંટણી બાદ દેવ પક્ષ સત્તા પર આવતાની સાથે મંદિર કઈક ને કઈક વિવાદમાં આવે છે. ત્યારે ફરી એક વાર મંદિર વિવાદમાં આવ્યું છે. ગોપીનાથજી મંદિરના ભોજનાલયમાં જ દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે તકરાર થતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો અને અરજી અપાતા ૪ પાર્ષદની અટકાયત કરી લેવામાં આવી હતી.

આ બાબતે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ જુના મંદિર જે ગોપીનાથજી દેવ મંદિર તરીકે સમગ્ર દેશ અને દુનિયામાં સુપ્રસિદ્ધ છે. જિલ્લાના લાઠીદડ ગામે આવેલ ગુરુકુળ દ્વારા એક સ્વામિની તીથીને લઈને ગઢડા ગોપીનાથજી મંદિરે રસોઈ હતી. ગોપીનાથજી મંદિરના ભોજનાલયમાં જમણવાર શરૂ હતું તે દરમ્યાન વચ્ચે ચાલવાના મામલે દેવ પક્ષના સંતો અને આચાર્ય પક્ષના પાર્ષદો બાખડી પડ્યા હતાં. ત્યાર બાદ ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. જેથી પોલીસને જાણ થતા ગઢડા પોલીસ કાફલો મંદિર પહોચ્યો હતો.

આ બાબતે દેવ પક્ષના બાલસ્વરૂપ સ્વામીએ આચાર્ય પક્ષના પાર્ષદો સહિત કુલ પાંચ ભગતો વિરુદ્ધ ગઢડા પોલીસમાં અરજી આપતા ગઢડા પોલીસે પાર્ષદ મૌલીક ભગત, કિત ભગત, નિતીન ભગત, હરિકૃષ્ણ ભગત અને મેહુલ ભગત વિરુદ્ધ અરજીને લઈને ગઢડા પોલીસે ૪ પાર્ષદોની અટકાયત કરી હતી. તેમજ સામા પક્ષે પણ આચાર્ય પક્ષ દ્વારા પોતાની વાત સાંભળવા અને ફરીયાદ લેવા આગ્રહ રાખવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. ઉક્ત બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.