ગોવા પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકાયું : 250 હોટેલોને મંજૂરી

– મર્યાદિત કેસ હોવાના કારણે કોરોના સંકટ વચ્ચે

– પ્રવાસીઓએ કોવિડ-19નું નેગેટિવ સર્ટિફિકેટ રજુ કરવું પડશે, નહીંતર ગોવા સરકાર ટેસ્ટ કરાશે

દેશના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ ગોવા દેશના અન્ય રાજ્યોના પ્રવાસીઓ માટે દરવાજા ખોલી નાંખ્યા છે. કોરોના મહામારીના કારણે ગોવાએ માર્ચ મહિનાથી જ પ્રવાસન પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે જ્યારે દેશભરમાં લોકડાઉનને તબક્કાવાર દૂર કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગોવા સરકારે 250 જેટલી હોટલોને ખોલવાના આદેશ આપ્યા છે.

ગોવા સરકારની કેબિનેટની મિટિંગમાં પ્રવાસનને પુન: શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. હાલમાં જે હોટલોને મંજૂરી આપવામાં આવી છે, તે તમામમાં સરકારના કોરોના અંગેના નિર્દેશોનું કડક પાલન કરવા માટે જણાવવામાં આવ્યું છે.

જોકે અન્ય રાજ્યોના પ્રવાસીઓએ ગોવાની મુલાકાત લેતા પહેલા ગોવા સરકારના નિયમોનું પાલન કરવું પડશે. સરકારે મંજૂર કરેલી હોટલમાં અગાઉથી બૂકિંગ કરાવનારને જ યોગ્ય ચકાસણી બાદ પ્રવેશ આપવામાં આવશે. પ્રવાસીએ ગોવામાં પ્રવેશવા માટે કોવિડ-19નું નેગેટીવ સર્ટિફિકેટ રજુ કરવું પડશે.

જો તે નહી હોય તો ગોવામાં પ્રવેશનાના પોઈન્ટ પર જ તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવશે. આ પછી જ્યાં સુધી ટેસ્ટનું પરિણામ ન આવે ત્યાં સુધી તેને સરકારે તૈયાર કરેલી સુવિધામાં ક્વોરન્ટાઈન રાખવામાં આવશે. જેમનો ટેસ્ટ પોઝિટીવ આવશે તેમને તેમના રાજ્યમાં પરત ફરવાની કે પછી ગોવામાં જ સારવાર લેવાના વિકલ્પ આપવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.