ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો ..

વડોદરા: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યભરમાંથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ કેસ 150ને પાર પહોંચ્યા છે. ચાંદીપુરાના પોઝિટિવ કેસની સંખ્યા 68 નોંધાઈ છે. આ જીવલેણ વાયરસથી અત્યાર સુધીમાં 60થી વધુ દર્દીઓના મોત નીપજ્યા છે. ત્યારે હવે વડોદરામાં સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતા બે બાળકોના મોત થયા છે.

ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત

માહિતી અનુસાર, શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતા પંચમહાલના ઘોઘબાના બે વર્ષીય બાળક અને શહેર નજીકના કોટાલી ગામની દસ વર્ષીય બાળકીનું મોત થયું છે. જો કે બંને મૃતક બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.

સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ 21 બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ એક બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર માટે દાખલ થયું છે. હાલ સયાજી હોસ્પિટલમાં નવ બાળકો સારવાર હેઠળ છે. વડોદરામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 34 કેસ નોંધાયા છે. બે દિવસ અગાઉ પણ વડોદરામાં SSG હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ બાળકીનું મોત નીપજ્યું હતું.

કેવી રીતે ફેલાય છે આ વાયરસ? શું છે તેના લક્ષણો?

આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે. જે જગ્યા પર ગંદકી હોય, પાણી ભરાયા હોય, લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ માખી ફેલાય છે. જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે. ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ માથાનો દુઃખાવો, આંખો લાલ થવી, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણ જોવા મળે છે. આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલ્દી સારવાર મળવી ખૂબ જ જરૂરી છે.

આ વાયરસથી બચવા શું કરવું

વાયરસથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ આવે) રહે તેવી વ્યવસ્થા કરવી. 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં ઊંઘાડવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં, ધુળમાં રમવા દેવા નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.