ગુજરાત ભરના 65000 શિક્ષકોને થશે સૌથી મોટી અસર, ગુજરાત સરકારે ગ્રેડ-પેમાં ઘટાડો કરતા શરૂ થયું કેમ્પેઈન

ગુજરાત સરકારે ફરી શિક્ષકોનો ગ્રેડ-પે ઘટાડતા એકવાર ફરી આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે. હાલ શિક્ષકોનો ગ્રેડ-પે ઘટતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના શિક્ષકોએ પોતાના હક માટે સોશિયલ મીડિયામાં #4200gujarat કેમ્પઈન શરૂ કર્યું છે. પ્રાથમિક શિક્ષકોને વર્ષ 1994થી નોકરીમાં નવ વર્ષ બાદ 4200 ગ્રેડ પે મળતો હતો. ગુજરાત સરકારે વર્ષ 2019માં એક પરિપત્ર કર્યો કે હવે વર્ષ 2010 બાદ જે શિક્ષક ભરતી થયા હોય એમને નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 2800 ગ્રેડ પે જ મળશે. ગુજરાત સરકારે ગ્રેડ પે ઘટાડતા રાજ્યભરના 65000 શિક્ષકોને અસર થવા જઈ રહી છે.

શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડતા ભારે રોષની લાગણી ફાટી નીકળી છે. આ મુદ્દે શિક્ષણ સંઘ પણ વિવિધ રીતે આ પ્રશ્નોનું નિરાકરણ આવે તેના માટે બનતા તમામ પ્રયાસ કરી ચૂક્યું છે. શિક્ષકો પોતાની વ્યથા ઠાલવતા જણાવી રહ્યા છે કે અમને જે પહેલા 4200 ગ્રેડ પે મળતો હતો તેને ઘટાડીને 2800 કેમ કરવામાં આવ્યો? અન્ય કોઈ વિભાગમાં નહીં પરંતુ શિક્ષકોનો પગાર સરકાર કેમ ઘટાડી રહી છે? અમે પગાર વધારો તો નથી માંગતો, પરંતુ વર્ષોથી જે પગાર આપવાનો નિર્ણય થયો છે તેમાં કાપકૂપ કેમ કરવામાં આવી રહ્યો છે. આજથી નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200 મળતો હતો. જે સરકારે 2800 કરી દીધો છે. ત્યારે ફરીથી અમને 4200 ગ્રેડ-પે મળી રહે તેના માટે લડત ચલાવી રહ્યા છીએ.


આ અંગે કોંગ્રેસના નેતા ડો. મનિષ દોશીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સૌથી મોટો ભ્રષ્ટાચારનું એપી સેન્ટર શિક્ષણ વિભાગ છે. પરિપત્રોમાં હાથેકરીને વિસંગતતાઓ ઊભી કરવામાં આવે છે અને જુદા જુદા માધ્યમો થકી શિક્ષકોને એનો ભોગ બનાવવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.