હા, સો હત્યા કરીને મૃતદેહો મગરને ખવરાવી દીધા’, સિરિયલ હત્યારા ડૉક્ટરે કરેલો એકરાર

– બીજા પણ અપરાધો આચરી ચૂક્યો છે

ડૉક્ટર તો બીમારને નવજીવન આપનાર હોય છે.પરંતુ આ ડૉક્ટરે તો એકસો જણની હત્યા કરીને એમના મૃતદેહોને મગરમચ્છને ખવરાવી દેવાનો એકરાર કરીને પોલીસને પણ ચોંકાવી દીધી હતી. સિરિયલ કીલર ડૉક્ટર દેવેન્દ્ર શર્માએ અગાઉ પચાસ હત્યા કરી હશે, હું આંકડા ગણવાનું ભૂલી ગયો છું એવું કહ્યું હતું. પરંતુ હવે એણે એકરાર કર્યો હતો કે મેં એકસો જણની હત્યા કરી હતી અને એમાંના મોટા ભાગના મૃતદેહો ઉત્તર પ્રદેશની એક નહેરમાં મગરમચ્છને ખવરાવી દીધા હતા.

મૂળ આ ડૉક્ટર એક કિડની કૌભાંડમાં ઝડપાયો હતો અને છેલ્લાં સોળ વર્ષથી જેલમાં હતો. એ પેરોલ પર છૂટ્યો હતો. વીસેક દિવસ પછી એના પેરોલ પૂરા થતાં એ ફરી જેલમાં જવાનો હતો પરંતુ પોલીસને થાપ આપીને એ અન્ડરગ્રાઉન્ડ થઇ ગયો હતો. હવે પકડાયા પછી એનાં કાળાં કામોની વિગત પ્રકાશમાં આવી હતી. રાજસ્થાનમાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતાં કરતાં એ અપરાધી બની ગયો હતો.

એણે કરેલા એક ઇન્વેસ્ટમેન્ટમાં થયેલી છેતરપીંડી પછી એ અપરાધખોરી તરફ વળી ગયો હતો. કિડની ટ્રાન્સપ્લાન્ટના નામે કૌભાંડ, બોગસ  ગેસ એજન્સી, વાહનચોરી અને બીજા અપરાધોમાં એ સંડોવાતો ગયો.  પોતાની બોગસ ગેસ એજન્સી માટે ગેસના બાટલાની જરૂર પડે ત્યારે એ ગેસ ડિલિવરી ટ્રક લૂંટી લેતો અને ટ્રકના ડ્રાઇવરની હત્યા કરી નાખતો.

બુધવારે એ દિલ્હીમાં ઝડપાયો ત્યારે એણે સોએક હત્યા કરીને એમાંના મોટા ભાગના મૃતદેહોને ઉત્તર પ્રદેશમાં કાસગંજની હજારા નહેરમાં ફેંકી દીધા હતા. આ નહેરમાં સંખ્યાબંધ મગર છે. આ મગરો દેવેન્દ્રે ફેંકેલા મૃતદેહોને ખાઇ જતા હતા.

એણે જરાય અફસોસ કે પશ્ચાત્તાપ વિના પોતે કરેલા અપરાધોની કબૂલાત કરીને પોલીસને ચોંકાવી દીધી હતી.  એણે બનાવેલી એક ટોળી દિલ્હી અને એની આસપાસથી ટેક્સી ભાડે કરતી અને પછી ટેક્સીના ડ્રાઇવરની હત્યા કરીને એ ટેક્સીમાં રંગરોગાન કરીને વેચી દેતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.