‘ હું ત્યારબાદ તૂટી ગયો’: કેએલ રાહુલે કોફી વિથ કરણના ઈન્ટરવ્યુને દર્દનાક અનુભવ ગણાવ્યો… –

ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે કોફી વિથ કરણ ઈન્ટરવ્યુમાં પોતાના સૌથી મોટા વિવાદ વિશે વાત કરી. તેણે તે મુલાકાતને પીડાદાયક અનુભવ ગણાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર …

ભારતીય વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે કોફી વિથ કરણ પર પોતાના ઈન્ટરવ્યુ વિશે ખુલીને વાત કરી હતી. રાહુલે આ મુલાકાતને ખૂબ જ આઘાતજનક અનુભવ ગણાવ્યો હતો. રાહુલ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને 2019માં પ્રખ્યાત ટોક શોમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યાં તેમના દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની ભારે ટીકા કરવામાં આવી હતી.

કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાના આ ઇન્ટરવ્યુની પ્રતિક્રિયા એટલી ગંભીર હતી કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બંને ખેલાડીઓને સસ્પેન્ડ કરી દીધા હતા અને શ્રેણીની મધ્યમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પાછા બોલાવ્યા હતા. નિખિલ કામથ સાથે તેમની યુટ્યુબ ચેનલ પર પોડકાસ્ટ પર વાત કરતા, રાહુલે આ ઘટનાએ તેમના પર કેવી અસર કરી અને જીવન અને ક્રિકેટ પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ બદલ્યો તે વિશે વાત કરી હતી.

રાહુલે ખુલાસો કર્યો, ‘ભારત માટે રમ્યા બાદ મારો આત્મવિશ્વાસ વધી ગયો હતો, પરંતુ તે ઈન્ટરવ્યુએ મને ઊંડી અસર કરી. તેણે એ પણ સ્વીકાર્યું કે, અગાઉ, તેણે ક્યારેય સસ્પેન્શનનો સામનો કર્યો ન હતો, તેના શાળાના દિવસોમાં પણ નહીં, અને તે તેના પરિણામો માટે તૈયાર ન હતા.

રાહુલે વધુમાં કહ્યું કે, હું ટ્રોલિંગને સારી રીતે હેન્ડલ કરતો હતો, એ વિચારીને કે તેનાથી મને કોઈ સમસ્યા ન થાય. પણ એ ઇન્ટરવ્યુ પછી બધું બદલાઈ ગયું. હું ત્યારે નાનો હતો, પણ ટ્રોલીંગ સતત થતું હતું. મેં ગમે તે કર્યું, મને ટ્રોલ કરવામાં આવી. જમણા હાથના બેટ્સમેને એ પણ જણાવ્યું કે, કેવી રીતે આ ઘટનાએ તેનું વ્યક્તિત્વ બદલી નાખ્યું.

તેણે કહ્યું, ‘આ ઈન્ટરવ્યુ એક અલગ જ દુનિયા હતી. તેણે મને બદલી નાખ્યો. ભારત તરફથી રમીને હું આત્મવિશ્વાસ પામ્યો. પરંતુ તે ઇન્ટરવ્યુ બાદ કઈક એવું બન્યું જેણે મને ખૂબ ડરાવ્યો હતો.

રાહુલે વધુમાં કહ્યું કે, મને ટીમમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. મને ક્યારેય શાળામાં સસ્પેન્ડ કરવામાં આવ્યો ન હતો, શાળામાં ક્યારેય સજા કરવામાં આવી ન હતી. મને ખબર નથી કે, આનો સામનો કેવી રીતે કરવો. મેં શાળાઓમાં તોફાન કર્યા, પરંતુ એવું કંઈ થયું હતું નહીં, કે મને શાળામાંથી કાઢી મુકવામાં આવે અથવા મારા માતા-પિતા આવી જાય.

શું હતો સમગ્ર વિવાદ:

કોફી વિથ કરણ ટીવી શોમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ ખાસ મહેમાન હતા. આ દરમિયાન તેણે પોતાના સંબંધો, ક્રશ, મનપસંદ ફિલ્મો, અભિનેતાઓ અને અભિનેત્રીઓ વિશે વાત કરી. જો કે, કેએલ રાહુલે આ સમયગાળા દરમિયાન ઘણો સંયમ જાળવી રાખ્યો હતો અને સમગ્ર શો દરમિયાન કરણ જોહરના પ્રશ્નોના કાળજીપૂર્વક જવાબ આપ્યા હતા, પરંતુ હાર્દિક પંડ્યાએ ઘણી મહિલાઓ સાથે સંબંધો હોવાનો દાવો કર્યો હતો.

આટલું જ નહીં, હાર્દિક પંડ્યાએ તે તેના માતા-પિતા સાથે કેટલો ખુલ્લા મનનો હતો તે વિશે વાત કરી. તેણે કહ્યું હતું કે ઘણી મહિલાઓ સાથે સંબંધ રાખ્યા બાદ તેણે તેની માતા સાથે પણ આ વાત શેર કરી હતી. આ પછી તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને ભૂલ માટે માફી પણ માંગવી પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.