સૌરાષ્ટ્ર માં કોરોના દદીઁઓની સેવા કરી પરત ફરી રહેલાં કોરોના વોરિયસૅની કારને નડયો અકસ્માત.

વડોદરા શહેર બહાર પસાર થતા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં ત્રણ યુવાનનાં સ્થળ પર મોત નીપજ્યાં હતા. કારચાલકને ઝોકું આવી જતાં ડ્રાઇવિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઇડમાં પહોંચી ગઇ હતી અને પસાર થતી ટ્રક સાથે ભટકાઇ હતી. અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણ યુવાનો સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પરત આવી રહ્યા હતા.

કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત;

વહેલી સવારે સુરત ઓલપાડ રોડ ઉપર આવેલા પરા સુખ મંદિર રો-હાઉસમાં રહેતા અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉં.વ.36), સી-102, યોગીનગર સોસાયટી, સરથાણા-સુરત ખાતે રહેતા સંજયભાઇ ઉર્ફે ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27)  કારમાં સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પર આવવા નીકળ્યા હતા. દરમિયાન વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકું આવી જતાં તેમણએ પોતાના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો.

ત્રણેય યુવાનોનાં કારમાં જ કમકમાટીભર્યાં મોત;

ચાલકે ડ્રાઇવિંગ પરથી કાબૂ ગુમાવતાં જ કાર રોડ વચ્ચેનું ડિવાઇડર કૂદી રોંગ સાઇડ પર લીલુડી ધરતી હોટલ પાસેના રોડ ઉપર આવી ગઇ હતી અને એ જ સમયે પૂરપાટ જઇ રહેલી ટ્રક સાથે ધડાકાભેર ભટકાઇ હતી. કાર ટ્રક સાથે ભટકાતાં જ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને એમાં સવાર ત્રણે યુવાનોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.

કારમાં મૃતદેહ ફસાઈ જતાં ફાયર વિભાગની મદદ લેવી પડી;

વહેલી સવારે બનેલા આ બનાવની જાણ થતાં જ કપુરાઇ બ્રિજ નીચે રહેતા લોકો તેમજ પસાર થતા લોકો દોડી ગયા હતા. આ બનાવને પગલે હાઇવે ઉપરનો વાહન વ્યવહાર પણ અડધો કલાક માટે ખોરવાઇ ગયો હતો. બીજી બાજુ આ બનાવની જાણ પાણીગેટ પોલીસને થતાં તરત જ પોલીસકાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં કચ્ચરઘાણ વળી ગયેલી કારમાં સવાર ત્રણ યુવાનોના મૃતદેહો ફસાઇ જતાં પોલીસે ફાયરબ્રિગેડની મદદ લઇ એને બહાર કઢાવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

સુરતથી પરિવારજનો વડોદરા દોડી આવ્યાં ;

આ સાથે પાણીગેટ પોલીસે મોતને ભેટેલા યુવાનાની કારમાંથી મળેલા લાયસન્સ સહિતના દસ્તાવેજોના આધારે તેમના પરિવારને બનાવની જાણ કરી હતી. પોલીસે બનાવની જાણ કરતાં જ સુરતથી પરિવારજનો વડોદરા દોડી આવ્યાં હતાં. બીજી બાજુ પાણીગેટ પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.